આ વર્ષે પણ તરતાં આવડતું હોય તો જ રાજકોટના રેલનગર-પોપટપરા નાલું, માધાપર ચોકડીએથી નીકળજો !
રાજકોટ મહાપાલિકામાં અત્યાર સુધી અનેક કમિશનર બદલાઈ ગયા, મેયર બદલાઈ ગયા, ડેપ્યુટી મેયર બદલાઈ ગયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બદલાઈ ગયા પરંતુ વોર્ડ નં.3 હેઠળ સમાવિષ્ટ માધાપર ચોકડી, રેલનગર બ્રિજ અને પોપટપરાના નાલામાં દર ચોમાસે પાણી ન ભરાઈ જાય અને આ ત્રણ બ્રિજમાં પાણી ભરાઈ જવાને કારણે શહેરથી વિખૂટા ન પડી જાય તેનો ઉકેલ શોધી શક્યા નથી ! ચોમાસું એકદમ નજીક આવી ગયું છે ત્યારે ફરી આ વર્ષે પણ ત્રણેય જગ્યાએ ગોઠણ નહીં બલ્કે કમરડૂબ પાણી ભરાશે તે વાત નિશ્ચિત લાગી રહી છે. એકંદરે લોકો તો કટાક્ષમાં એવું પણ કહી રહ્યા છે કે આ વર્ષે પણ તરતાં આવડતું હોય તો જ રેલનગર, પોપટપરા નાલું અને માધાપર ચોકડીએથી નીકળવાનો આગ્રહ રાખવો પડશે !!



અહીં પાંચ-સાત ઈંચ વરસાદ તો દૂરની વાત છે પરંતુ બે-ત્રણ ઈંચ વરસાદ પડે એટલે પાણીના તળાવ ભરાઈ જતાં વાર નથી લાગતી તે પાછળ સૌથી મોટું કારણ શાસકો અને અધિકારીઓ પોતાની `આવડત’નો ઉપયોગ કરી શકતાં નથી તે જવાબદાર છે. રેલનગર બ્રિજમાં પાણી ન ભરાય જાય અને લોકોની અવર-જવર બંધ ન થાય તે માટે લાખો રૂપિયાના ખર્ચે મહાપાલિકા દ્વારા કામ કરાવાયું હતું પરંતુ સ્થિતિમાં કોઈ જ પ્રકારનો સુધારો જોવા મળ્યો નથી. ચોમાસું આવે એટલે મહાપાલિકામાં પ્રિ-મોન્સુન કામગીરી અંતર્ગત અધિકારીઓની એક બેઠક મળે છે પરંતુ તેમાં આ ત્રણ જગ્યાએ શા માટે પાણી ભરાયેલું રહે છે, પાણી ન ભરાય તે માટે શું કરી શકાય તેની ચર્ચા તો કરવામાં આવે છે પરંતુ અમલ થઈ રહ્યો ન હોવાથી ત્રણ-ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ જવાને કારણે લોકો અહીંથી પસાર થઈ શકતાં નથી જે વરવી વાસ્તવિક્તા છે.
આ તસવીર ગત વર્ષે 25-8-2024ની છે જ્યારે રેલનગર બ્રિજ, પોપટપરા નાલું અને માધાપર ચોકડી પાણીમાં ગરકાવ થઈ જવા પામ્યા હતા.



શું કહે છે કે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા
વોર્ડ નં.3 એ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાનો વોર્ડ છે. આ સમસ્યા અંગે તેમને પૂછવામાં આવતાં કહ્યું હતું કે થોડા સમય પહેલાં જ તેમણે અને ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહે પોપટપરા નાલાની મુલાકાત લઈ ત્યાં પાણી ન ભરાય તે પ્રકારે તૈયારી કરવા માટે અધિકારીઓને આદેશ આપ્યો હતો. આ સમયે અધિકારીઓ પણ હાજર હતા. આ ઉપરાંત માધાપર ચોકડી પાસે પાણી ભરાયેલું ન રહે તે માટે ગોલ્ડન પોર્ટિકો, બાબરિયાની વાડી સહિતના વિસ્તારોમાં પાણીના નિકાલ માટે મોટા ભૂંગળા નાખવામાં આવી રહ્યા છે જે કામ ચોમાસા પહેલાં પૂર્ણ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વોંકળા પહોળા કરાયા છે સાથે સાથે તેની સફાઈ પણ બારિકાઈથી કરાવવામાં આવી રહી છે.
આ વખતે પાણીમાં ફસાવ એટલે આમને ફોન કરજો
- નરેન્દ્રસિંહ જાડેજા
મો.98252 10476 - બાબુભાઈ ઉધરેજા
મો.98980 20002, 76980 51234 - કુસુમબેન ટેકવાણી
મો.98252 76055 - અલ્પાબેન દવે
મો.98790 11580
