રાજકોટની રામાપીર ચોકડીએ પાણી નહીં ભરાયઃ કોર્પોરેટર હિરેન ખીમાણીયાની ગેરંટી
‘વોઈસ ઓફ ડે’ દ્વારા રાજકોટના વોર્ડ નં.1 થી લઈને વોર્ડ નં.18 માં ચોમાસા દરમિયાન પાણી ભરાવાના ‘હોટસ્પોટ’ ક્યા-ક્યા છે, એક ઈંચ વરસાદ પડે કે દસ ઈંચ પાણી પડે આ જગ્યા પર પાણી ન ભરાય તે માટે જે-તે વોર્ડના કોર્પોરેટર દ્વારા શું તૈયારી કરવામાં આવી તે સહિતની વિગતોથી લોકોને વાકેફ કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. વોર્ડ નં.1 માં રામાપીર ચોકડી કે જ્યાંથી ચોમાસા દરમિયાન નીકળવું એક યુદ્ધ લડવા જેવું અઘરું કામ હોય છે તે સહિતના વિસ્તારોનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતાં જ કોર્પોરેટર હિરેન ખીમાણીયા દ્વારા ગેરંટી સાથે જણાવાયું હતું કે આ વર્ષે રામાપીર ચોકડીએ પાણી નહીં જ ભરાય !
તેમણે જણાવ્યું કે વોર્ડ નં.૧માં રામાપીર ચોકમાં વરસાદી પાણી ભરાવાની ફરિયાદોને ધ્યાનમાં રાખી રામાપીર ચોકથી શીતલ પાર્ક ચોક થઈને મોચીનગર સુધી 81 લાખ રૂપિયાના ખર્ચે એમ.એમ.ડાયાની RCC કામ 70% પૂર્ણ થઈ ગયું છે છે અને બાકીનું 30% કામ દસ દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. લાઈન બીછાવાઈ ગયા બાદ રામાપીર ચોકને ડામરથી લેવલિંગ કરીને મઢી દેવામાં આવશે જેથી ચોમાસા દરમિયાન પાણી ન ભરાઈ જાય. આ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન નાખવાથી રામાપીર ચોક તેમજ આસપાસની સોસાયટીઓ જેવી કે લાભદીપ સોસાયટી સહિતની અનેક સોસાયટીમાં પાણી ભરાવાની સમસ્યાનો નિકાલ થઈ જશે.