રાજકોટની રૈયા ચોકડી, રામાપીર ચોકડી, નાણાંવટી ચોકમાં આ વર્ષે પાણી ભરાશે જ !
- માત્ર દોઢ ઈંચ વરસાદમાં જ જો રામાપીર ચોકડીએ તળાવ ભરાઈ જતું હોય, રૈયા ચોકડી, નાણાવટી ચોકમાં પાણી વહી રહ્યા હોય તો પાંચ-સાત ઈંચ વરસાદ શું હાલત કરશે ?
- પાણી ભરાય નહીં તે માટે તંત્રએ શું તૈયારી કરી ? કોઈ પાસે નથી જવાબ
ચોમાસું એકદમ નજીક આવી ચૂક્યું છે ત્યારે શહેરીજનોને વરસાદ કરતાં રસ્તા ઉપર વહી રહેલા તળાવમાંથી પસાર થવાની ચિંતા વધુ સતાવવા લાગી છે. વરસાદી સીઝનના ચાર મહિના દરમિયાન થોડો અમથો વરસાદ આવે એટલે જ્યાં-ત્યાં પાણી ભરાઈ જવાની તકલીફ વર્ષોથી ઘર કરી ગઈ છે આમ છતાં મહિને લાખો રૂપિયાનો પગાર વસૂલતા મહાપાલિકાના અધિકારીઓ અને ખોબલે-ખોબલે મત મેળવીને ચૂંટાયેલા કોર્પોરેટરો કશું જ ઉકાળી શકતા નથી અને `આ તો ચાર મહિનાની તકલીફ છે, હમણાં આ દિવસો પણ પસાર થઈ જશે’ તેવું માનીને લોકોને હેરાન થવા દઈ રહ્યા છે. `વોઈસ ઓફ ડે’ દ્વારા આજથી વોર્ડ નં.1થી 18માં સૌથી વધુ તળાવ ક્યાં ભરાય છે અને આવું ન થાય તે માટે મહાપાલિકાના અધિકારીઓ અને ચૂંટાયેલા કોર્પોરેટરોએ શું કાર્યવાહી કરી તેનો જવાબ લેતી ઝુંબેશ શરૂ કરવામાં આવી રહી છે. વોર્ડ નં.1ની વાત કરવામાં આવે તો અહીંના ગાંધીગ્રામ મેઈન રોડ, નાણાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલ પાસેનો રોડ, રૈયા રોડ સહિતના વિસ્તારો ઉપરાંત રામાપીર ચોકડી, નાણાવટી ચોક, રૈયા ચોકડી કે જ્યાં સામાન્ય વરસાદમાં પણ મોટાપાયે પાણી ભરાઈ રહ્યા છે. આ વાતનો જવાબ તાજેતરમાં જ પડેલા દોઢ ઈંચ વરસાદ પરથી મળી રહેશે જ્યારે રામાપીર ચોકડીએ વાહનનું ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા હતા.

શું કહે છે આ વિસ્તારના કોર્પોરેટરો ?
`વોઈસ ઓફ ડે’ દ્વારા વોર્ડ નં.1ના કોર્પોરેટર ડૉ.અલ્પેશ મોરઝરિયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે કહ્યું હતું કે તેઓ અત્યારે સાળંગપુરથી રાજકોટ આવવા નીકળ્યા હોવાને કારણે કાર ડ્રાઈવિંગ કરી રહ્યા છે એટલા માટે વાત કરવા માટે સક્ષમ નથી ! જ્યારે અન્ય કોર્પોરેટર હિરેન ખીમાણીયાનો સંપર્ક કરવામાં આવતાં તેમનો ફોન સતત બંધ આવી રહ્યો હતો. એકંદરે પાછલા વર્ષે સર્જાયેલી સ્થિતિ પરથી ચૂંટાયેલા નગરસેવકોએ કોઈ જ ધડો લેવાની જગ્યાએ `હોતા હૈ, ચલતા હૈ’ની માફક બધું જ ચલાવ્યે રાખ્યું હોવાને લીધે સ્થિતિ સુધરવાનું નામ લઈ રહી નથી.

એક વર્ષમાં છ વખત જનરલ બોર્ડ મળ્યું શા માટે પ્રશ્ન ન ઉઠાવ્યો ?
મહાપાલિકામાં દર બે મહિને જનરલ બોર્ડ મળે છે જેમાં ચૂંટાયેલા નગરસેવકો પોતપોતાના મત વિસ્તાર અથવા શહેરીજનોને સ્પર્શતા પ્રશ્નો પૂછીને અધિકારીઓ પાસેથી હિસાબ માંગતાં હોય છે. જો કે રાજકોટવાસીઓનું દૂર્ભાગ્ય એ છે કે એક વર્ષમાં છ વખત જનરલ બોર્ડની કાર્યવાહી થઈ આમ છતાં વોર્ડ નં.1ના કોર્પોરેટર દ્વારા ઉપરોક્ત વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ભરાતાં પાણી તેમજ પાણી ન ભરાય તે માટે અધિકારીઓ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તેવો પ્રશ્ન પૂછવાની તસ્દી જ લેવામાં આવી નથી.
તમારા મતે ચૂંટાયેલા નગરસેવકોનો કાન પકડો
ભાનુબેન બાબરિયાઃ મો.99043 43321
દુર્ગાબા જાડેજાઃ મો.90169 11612, 95122 00455
ડૉ.અલ્પેશ મોરજરીયાઃ 98242 47881
હિરેન ખીમાણીયાઃ 97257 8888
15 મેએ માત્ર દોઢ ઈંચ વરસાદ પડ્યો ત્યારે રામાપીર ચોકડીની આવી હાલત હતી !