ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રોમા અને બર્ન્સ કેસને પહોંચી વળવા રાજકોટની 50 હોસ્પિટલો અને 400 ડોકટરો સજ્જ : IMA
પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે જવાબી કાર્યવાહી કરી પાકિસ્તાનમાં ઘુસી આતંકી અડ્ડાઓનો સફાયો કરતા દુશ્મન દેશ હવાતિયા મારી રહ્યો છે અને હાલમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ હોય આ વિકટ સ્થિતિમાં ઇન્ડિયન મેડિકલ એસોશિએશન તબીબી મોરચે લડવા સજ્જ બન્યું છે, દિલ્હી IMAના આદેશને પગલે રાજકોટના 400 ખાનગી તબીબો અને 50 હોસ્પિટલો કોઈપણ સ્થિતિને પહોંચી વળવા સજ્જ હોવાનું IMA રાજકોટના પ્રમુખ ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું.
વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં રાજકોટ IMA પ્રમુખ ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં રાજકોટ IMA છેલ્લા ત્રણ દિવસથી સજ્જ બન્યું છે. ખાસ કરીને હાલમાં પાકિસ્તાન સાથેની સ્થિતિ વણસી છે અને દુશ્મન દેશ ભારતીય સેનાની કાર્યવાહીથી બોખલાઈને નાકામ હુમલા કરી રહ્યું છે ત્યારે યુદ્ધ જેવી સ્થિતિમાં કઈ પણ સ્થિતિ નિર્માણ થયા તો તેને પહોંચી વળવા રાજકોટના તબીબો સજ્જ હોવાનું તેમને જણાવ્યું હતું. ડો.જયેશ ડોબરિયાએ ઉમેર્યું હતું કે, યુદ્ધની સ્થિતિમાં જો હુમલા થાય તો સૌથી વધુ કેસ ટ્રોમા અને બર્ન્સના આવતા હોય છે. આ સ્થિતિમાં રાજકોટના ખાનગી તબીબો દેશહિતમાં સેવા માટે તૈયાર હોવાનું અને 400 તબીબો અને 50 હોસ્પિટલમાં તમામ વ્યવસ્થા હોવાનું તેમને ઉમેર્યું હતું.
વધુમાં ડો.જયેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોવાની સાથે મેડિકલ હબ હોય સરહદી જિલ્લા જામનગર, દ્વારકા,કચ્છ, પોરબંદર, ગીર સોમનાથ સહે જોડાયેલ હોય સ્વાભાવિક પણે જ કટોકટીની સ્થિતિમાં રાજકોટ જિલ્લાની ભૂમિકા મહત્વની રહે છે.જેથી IMA દિલ્હીના આદેશ તળે ત્રણ દિવસ પૂર્વે જ પ્રવર્તમાન સ્થિતિની ચિંતા વ્યક્ત કરી તમામ તૈયારી કરી લેવામાં આવી હોવાનું તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલ અને જિલ્લા આરોગ્ય વિભાગ સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તેમને અંતમાં જણાવ્યું હતું.
