‘ધર્મ જોઈને સામાન ખરીદો’, મોરબીમાં પહલગામની ઘટનાનો ઉગ્ર વિરોધ, મૌન રેલી યોજી કરાયું પૂતળાદહન
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓનો ધર્મ પૂછી ગોળી ધરબી હત્યા કરી નાખવાની ઘટનાને પગલે દેશભરમાં આક્રોશ છવાયો છે તેવામાં મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા મુખ્ય બજારમાં દુકાનો બહાર “ધર્મ જોઈને જ સામાન ખરીદો” તેવા સ્ટીકર અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વિહિપ અને બજરંગ દળે મોરબી શહેરમાં 2000 જેટલા પોસ્ટ-સ્ટીકરો લગાવ્યા હોવાનું સામે આવ્યું છે.આતંકી ઘટનાના વિરોધમાં આજે અડધો દિવસ માટે મોરબી બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. મોરબીમાં આજરોજ મૌન રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ પૂતળાદહન પણ કરવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ પર્યટકો ઉપર તેમનો ધર્મ પૂછી, કલમાં વાંચવાનું કહી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આ આતંકી કૃત્યને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી આતંકી ઘટનાના વિરોધમાં આજે સવારે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા પાસેથી ચાલીને નગરદરવાજા સુધી મૌન રેલી યોજી નગરદરવાજાના ચોકમાં આતંકવાદીના પૂતળા દહન કરવામાં આવ્યું હતું . બીજીતરફ મોરબીના વેપારીઓ દ્વારા પણ અડધા દિવસ માટે વેપાર-ધંધા બંધ રાખવા એલાન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, આતંકીઓએ પહલગામમાં પર્યટકોને ધર્મ પૂછી-પૂછી ગોળી ચલાવી હોય મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શહેરની મેઈન બજારમાં બુધવારે રાત્રે દુકાને-દુકાને પોસ્ટર-સ્ટીકર લગાવવામાં આવ્યા છે જેમાં મેં લખાયું છે છે કે, આતંકવાદીઓ ધર્મ પૂછીને ગોળીબાર કરતા હોય હોય તો હવે હિન્દુ સમાજ પણ ધર્મ પૂછીને દરેક સામાનની ખરીદી કરવી જોઈએ. હાલમાં મોરબીની બજારમાં લગાવવામાં આવેલા ધર્મ જોઈને જ સામાન ખરીદોના સ્ટિકરે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે.
પહલગામની ઘટનાને લઈને મોરબીમાં ઉગ્ર વિરોધ
કાશ્મીરના પહલગામમાં આતંકવાદીઓએ ધર્મના આધારે પ્રવાસીઓની હત્યા કર્યાની ઘટનાને લઈને મોરબી શહેરમાં ભારે ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે. આ ગંભીર ઘટનાના વિરોધમાં આજે શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓએ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો.
મૌન રેલી યોજી કરાયું પૂતળાદહન
મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોકે પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષોને રક્ષણ મળવા અંગે માંગ સાથે હમલાવરનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું.આ મામલે શહેરના સુરક્ષા તંત્ર દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેથી શાંતિ જળવાઈ રહે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના નોંધાઈ નહતી.શહેરના લોકોએ પણ મૌન રેલીમાં વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહી વિરોધ વ્યક્ત કર્યો હતો.