કાલે વિશ્વ જળ દિવસ: જળસંચય જાગૃતિ મહારેલી
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વિશ્વ જળ દિવસ જળસંચય જાગૃતિ અભિયાન માટે મહારેલી નીકળશે. વિશ્વ જળ દિવસ દર વર્ષે ૨૨ માર્ચના રોજ જલ સંરક્ષણ અને પાણીનું જતન અંગે જનજાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ જળ સંકટ, સ્વચ્છ પાણીની ઉપલબ્ધતા અને પર્યાવરણ પર પડતા અસરકારક પ્રભાવોને ઉજાગર કરવાનો રહેશે. આ દિવસ આપણને જળ સંશાધનોનો સચોટ ઉપયોગ કરવા અને વરસાદી પાણી સંચય જેવી તકનીકો અપનાવવા માટે પ્રેરિત કરે છે. જળ છે તો જીવન છે અને તેને બચાવવું એ આપણી સૌની જવાબદારી છે.
જળ સંરક્ષણ અંગેની રેલી રેસકોર્સ ખાતે આયોજન કરવામાં આવશે. ૨૨ માર્ચને શનિવારે સવારે ૭-૩૦ કલાકે બહુમાળી ભવન પાસે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરાના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને વંદન કરીને રેલીનું સંબોધન કરીને પ્રસ્થાન કરાવશે જેમાં રાજકોટના રેસકોર્સ રિંગરોડ ખાતે ભવ્ય રેલીનું આયોજન કરીને સરદાર સરોવર બહુમાળી ભવન ખાતે સમાપન કરવામાં આવશે. આ રેલીમાં રાજકોટની જાહેર જનતાને જોડાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવેલ છે.