ટ્રેન હાઈજેક સંકટ યથાવત , પાક સેનાની હવા નીકળી ગઈ
આતંકવાદી હુમલાઓમાં બરાબર સંચાલન કરનાર પાકિસ્તાન ખુદ પોતાની જ ભૂમિ પર લડાકુઓ સામે લાચાર અને નિષ્ફળ દેખાય છે. પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલોન પાસે બલોચ આર્મી દ્વારા મંગળવારે ૫૦૦ મુસાફરો અને પાક સૈનિકો સાથેની જાફર એક્સપ્રેસ ટ્રેન હાઈજેક કર્યાના કલાકો બાદ પણ હજુ સંકટ યથાવત છે અને પાકિસ્તાન આર્મી બધા જ બંધકોને છોડાવી શકી નથી. હાઇજેકના બીજા દિવસે સેના અને લડાકુઓ વચ્ચે ફાયરિંગ સહિતના હુમલા સામસામા થયા હતા. પણ સેના ઓપરેશન પૂરું કરી શકી નથી. બધા બંધકો મુક્ત થયા નથી.
પાક સેનાએ બુધવારે એવો દાવો કર્યો હતો કે અમે ૧૫૫ બંધકોને છોડાવ્યા છે અને ૨૭ લડાકુઓને ઠાર કર્યા છે. જ્યારે બલોચ આર્મીએ ઓડિયો મેસેજ આપીને કહ્યું હતું કે ૮૦ લોકોને અમે જ છોડી મૂક્યા છે. જેમાં બાળકો, મહિલાઓ અને વૃધ્ધો છે . અમે પાક સેનાના ૩૦ ને ઢાળી દીધા છે. જો કેદીઓને મુક્ત કરાશે નહીં તો બધાને મારી નાખશું. અત્યારે પાક સેનાના અધિકારી અને જવાનો બંધક છે.
બીજી બાજુ પાક સેનાએ એવો દાવો કર્યો છે કે અમે હેલિકોપ્ટર અને ડ્રોન ઓપરેશન કર્યું છે અને લડાકુઓને માર્યા છે. જો કે હકીકત એ છે કે હાઈજેક સ્થળ પર જતાં સેના ડરે છે. બલુચિસ્તાનના પૂર્વ સીએમ અખ્તર મેનગલે આ વાત કરી હતી.
બીજી બાજુ એવી શંકા પણ પ્રબળ બની છે કે બલોચ હાઇજેકરોએ સેનાના વધુ જવાનોને મારી નાખ્યા છે અને બાકીનાને બંધક બનાવી રાખ્યા છે. પાક સેના ગ્રાઉન્ડ ઓપરેશન કરી જ શકી નથી અને સરકાર ખોટા દાવા કરી રહી છે.
200 શબપેટીઓ કવેટા મોકલાઈ; મોટી જાનખુવારીની પ્રબળ શંકા
દરમિયાનમાં 200 શબપેટીઓ ક્વેટા રેલ્વે સ્ટેશનથી બલુચિસ્તાન મોકલવામાં આવી છે ત્યારે એવી શંકા પ્રબળ બની છે કે મોટા પાયે કત્લેઆમ કરાઇ છે. અગાઉ, બલૂચિસ્તાનના ભૂતપૂર્વ સીએમ અખ્તર મેંગલે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, “બલૂચિસ્તાનનો એક ઇંચ પણ એવો ભાગ બચ્યો નથી જેના પર પાકિસ્તાની સરકાર પોતાનો હક દાવો કરી શકે. તેઓ આ યુદ્ધ સંપૂર્ણપણે હારી ગયા છે. અમે તેમને ચેતવણી આપી હતી, જેમ અમારા પહેલાના લોકોએ તેમને ચેતવણી આપી હતી.”
હુમલાખોર સુસાઈડ જેકેટ પહેરીને ઊભા છે, પાક સેના ત્યાં જતાં ડરે છે
બલૂચ લિબરેશન આર્મીએ કેટલાક નિર્દોષ બંધકોની ખૂબ નજીક આત્મઘાતી જેકેટ પહેરેલા હુમલાખોરોને મૂક્યા છે. આ સ્થળે જતાં પાકિસ્તાની સેના ડરે છે . સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે આતંકવાદીઓએ હવે અંધારાનો લાભ લઈને ભાગી જવા માટે નાના જૂથો બનાવી લીધા છે. પરંતુ સુરક્ષા દળોએ ટનલને ઘેરી લીધી હતી અને ટૂંક સમયમાં બાકીના મુસાફરોને બચાવી લેશે તેવી આશા હતી.
૪૮ કલાક બાદ હત્યા શરૂ થશે; બલોચ આર્મીની ચેતવણી
દરમિયાનમાં બલોચ લડાકુઓએ પાક સરકારને એવો મેસેજ પણ મોકલાવી દીધો છે કે અમારા કેદીઓને છોડવા માટે ૪૮ કલાકની મુદ્દત અમે આપી છે અને ૫૮ કલાક પૂરા થઈ ગયા બાદ દર કલાકે ૫ ડેડ બોડી મોકલવામાં આવશે અને તેની જવાબદારી પાક સરકારની રહેશે.
ભારતના હાથનો આરોપ; આબરૂ બચાવવા પાક સરકારનો પેતરો
આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવીને એવી બકવાસ કરી છે કે આ વિદ્રોહમાં ભારતનો હાથ છે. વિદ્રોહીઓ સામે લાચાર બનેલી સરકારે આમ કહીને આબરૂ બચાવવા પેતરો કર્યો છે . પાક સેના અને સરકારની નિષ્ફળતા છુપાવવા માટે કાદવ ઉછાળ રમત શરૂ કરી છે.