અગ્નિકાંડ: કોણ દાઝશે, કોણ બચશે ?
૨૭ લોકોનો ભોગ લેનાર રાજકોટની ઘટનામાં તપાસ કરનાર સીટ'નો અંતિમ રિપોર્ટ સરકારમાં રજૂ
સીટ’ના વડા સુભાષ ત્રિવેદીની વોઈસ ઓફ ડે' સાથે વાતચીત ૨૫ દિવસ સુધી ચાલેલી તપાસના રિપોર્ટ બાદ સરકારના એક્શન પર સૌની નજર વોઈસ ઓફ ડે, રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ સર્જાયો કેવી રીતે તેના મુળમાં જઈ તમામની જવાબદારી, બેદરકારીને ઉજાગર કરવા માટે ઘટનાની રાત્રે જ સરકાર દ્વારા સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ)ની રચના કરી હતી.
સીટ’માં આઈપીએસ સુભાષ ત્રિવેદી, રાજકોટના પૂર્વ મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ સામેલ હતા. દરમિયાન ટીમ દ્વારા અનેક વખત રાજકોટની મુલાકાત લઈને એક વિસ્તૃત તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે જે આજે સરકારને સોંપવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે સીટ'નો રિપોર્ટ મળ્યા બાદ સરકાર શું એક્શન લ્યે છે તેના પર આખા ગુજરાતની નજર મંડાયેલી છે. અગ્નિકાંડ ૨૫ મેએ થયો હતો અને તેની રાત્રે જ આ
સીટ’ની રચના કરવામાં આવી હતી. સીટ' દ્વારા ૨૫ દિવસ સુધી આ ઘટનાની બારીકાઈથી તપાસ કર્યા બાદ તેના પાછળ કોણ કોણ જવાબદાર છે અને બેદરકાર છે તેના અંકોડા એકઠા કરીને રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
સીટ’ દ્વારા આ કાંડના મુખ્ય જવાબદાર મહાપાલિકાના તત્કાલિન ટીપીઓ એમ.ડી.સાગઠિયા સહિતની પૂછપરછ કરવા ઉપરાંત અન્ય લોકોની પણ પૂછપરછ કરી હતી.
આમ તો સીટ' દ્વારા તપાસનો રિપોર્ટ રજૂ કરવા માટે વધુ એક મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ હાઈકોર્ટની આકરી ઝાટકણી બાદ સરકાર દ્વારા ૨૦ જૂન મતલબ કે આજ સુધીમાં તમામ પ્રકારની તપાસ પૂર્ણ કરીને રિપોર્ટ સોંપવા આદેશ અપાતાં જ તપાસને વેગવંતી બનાવી દેવામાં આવી છે. દરમિયાન
સીટ’ના વડા સુભાષ ત્રિવેદીએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રિપોર્ટ તૈયાર થઈ ચૂક્યો છે અને આજે તેને રજૂ કરી દેવામાં આવશે. હવે આ રિપોર્ટ બાદ સરકાર સ્તરેથી કેવા અને કેટલા પગલાં લેવાય છે તે તો આવનારો સમય બતાવી દેશે પરંતુ અત્યારે તો આ ઘટનામાં સંડોવાયેલા તમામના શ્વાસ અધ્ધર થયેલા જણાઈ રહ્યા છે.
આટલા સવાલો ઉપરથી `સીટ’નો રિપોર્ટ પરદો ઉંચકશે ?
- અગ્નિકાંડ પાછળ એમ.ડી.સાગઠિયા સહિતના જ જવાબદાર કે તેને કોઈનો દોરીસંચાર ?
- પદાધિકારીઓની કોઈ ભૂમિકા છે કે નહીં ?
- મ્યુનિ.કમિશનર, પોલીસ કમિશનર, એડિશનલ પોલીસ કમિશનર, ડીસીપી સહિતનાની બદલી કરાઈ ત્યારે આ લોકોની જવાબદારી અંગે શું ઉલ્લેખ ?
- મહાપાલિકા ઉપરાંત પોલીસ અને આર એન્ડ બી વિભાગની શું ભૂમિકા ?
- સમગ્ર અગ્નિકાંડ માટે આખરે જવાબદાર કોણ ?
- ગેઈમ ઝોનના સંચાલકો કોઈ અધિકારી-પદાધિકારી સાથે સંપર્કમાં હતા કે કેમ ?