ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર ગોઝારો અકસ્માત : પુરપાર ઝડપે જતી ઇકો ટ્રકમાં ઘૂસી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત
રાજ્યમાં અકસ્માતની ઘટના દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર બ્રિજ નજીક હાઈવે પર ઈકો કાર ટ્રકની પાછળ ઘૂસી જતા મોડી રાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં અકસ્માત સમયે કારમાં સાત લોકો સવાર હતા. જેમાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે
મળતી માહિતી મુજબ, ધ્રાંગધ્રાનો પરિવાર ઇકો કારમાં અમદાવાદથી ધ્રાંગધ્રા પરત ફરી રહ્યો હતો. ઇકો કાર ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર હરિપર બ્રિજ પાસે પહોંચી ત્યારે ટ્રકની પાછળ ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે કારમાં સવાર ત્રણ લોકોના મોત નીપજ્યાં હતા. મૃતકોમાં એક મહિલા અને બે પુરુષો હોવાનું હાલ જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિકો આવી પહોંચ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ બનાવ સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. તેમજ અકસ્માતની ઘટનામાં ઘાયલ થયેલા ચાર લોકોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા હતા. બનાવના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. અકસ્માત સ્થળે પહોંચેલી પોલીસ દ્વારા ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.