દિલ્હી-NCR 4.0ના ભુકંપથી ધણધણી ઉઠયું : સિક્કિમ, ઓડિશા, બિહાર, હરિયાણા, બાંગ્લાદેશ સુધી ધરા ધ્રુજી : લોકોમાં ફફડાટ
દિલ્હી-એનસીઆરમાં સોમવારે સવારે 4.0 ની તીવ્રતાના ભૂકંપના આંચકાએ બધાને હચમચાવી દીધા હતા. સવારે 5:30 વાગ્યે આવેલા ભૂકંપને કારણે લોકોની ઊંઘ હરામ થઈ ગઈ હતી. કંપન એટલું તીવ્ર હતું કે પૃથ્વી થોડીક સેકન્ડો માટે ધ્રુજતી રહી. લોકો ગભરાઈને પોતાના ઘરો અને ફ્લેટમાંથી બહાર દોડી આવ્યા હતા. ભૂકંપ વિશે માહિતી આપતી સરકારી વેબસાઇટ seismo.gov.in પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્ર દિલ્હીની આસપાસ હોવાનું કહેવાય છે. ભૂકંપના આ આંચકા ફક્ત ઘરોમાં જ નહીં, પણ વહેલી સવારે કારમાં બહાર નીકળતા લોકોમાં પણ અનુભવાયા હતા. નવી દિલ્હી રેલ્વે સ્ટેશન જતા એક મુસાફરે કહ્યું કે રસ્તામાં તેની કાર ધ્રૂજવા લાગી હતી. આશ્ચર્યજનક રીતે, ભૂકંપના આંચકા સાથે એક મોટો અવાજ પણ સંભળાયો. કેટલાક લોકો કહે છે કે આ ધ્રુજારીની સાથે, તેમને કંઈક તૂટતું હોય એવો અવાજ પણ સંભળાયો. પીએમ મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી છે. દિલ્હી પોલીસે એક હેલ્પલાઇન નંબર પણ જારી કર્યો છે.
આવો જાણીએ ક્યાં કેવો ભૂકંપ આવ્યો
- દિલ્હી-એનસીઆર- 4ની તીવ્રતા
- સિક્કિમ- 2.3ની તીવ્રતા
- ઓડિશામાં પુરી- 4.7ની તીવ્રતા
- બિહારનું સિવાન- 4ની તીવ્રતા
- હરિયાણા- 4ની તીવ્રતા
- બાંગ્લાદેશ- 3.5ની તીવ્રતા
આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લગભગ અઢી કલાક પછી, બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સિવાન હતું. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. અહીં, સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરિસ્થિતિ સામાન્ય છે.

સોમવારે સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી.
Tremors were felt in Delhi and nearby areas. Urging everyone to stay calm and follow safety precautions, staying alert for possible aftershocks. Authorities are keeping a close watch on the situation.
— Narendra Modi (@narendramodi) February 17, 2025
ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભૂકંપ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્વિટ કર્યું. તેમણે લોકોને સાવધાન રહેવાની અપીલ કરી. તેમણે એમ પણ કહ્યું કે અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
રાજકીય નેતાઓની પ્રતિક્રિયા
AAP નેતા આતિશીએ ‘X’ પર લખ્યું, ‘દિલ્હીમાં જોરદાર ભૂકંપ અનુભવાયો, હું ભગવાનને બધાની સલામતી માટે પ્રાર્થના કરું છું.’ આ પોસ્ટને ફરીથી શેર કરતા, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ દરેકની સલામતીની કામના કરી.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાગિની નાયકે લખ્યું, ’10 મિનિટ પહેલાં દિલ્હીમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા, હું ઊંઘમાંથી જાગી ગઈ.’ આશા છે કે બધા સુરક્ષિત હશો.