IND-ENG મેચમાં અંગદાન જાગૃતિનું અભિયાન : વિરાટ કોહલી સહિત ટીમ ઇન્ડિયાએ કહ્યું ” અંગદાન કરો,જીવન બચાવો”
આવતીકાલ એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વન-ડે મેચ રમાશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાનાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની અંતિમ મેચમાં ભારત વ્હાઇટવોશ કરવા માટે ઉતરશે. જોકે આ મેચ દરમિયાન “Donate Organs, Save Lives” નામનું જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત ICCના ચેરમેન જય શાહે ટ્વિટ કરીને જાણકારી આપી છે.
મેચ દરમિયાન પ્રેક્ષકો અંગદાન જાગૃતિની પ્રતિજ્ઞા લેશે આ અભિયાનને લઈને ઐતિહાસિક એવા સ્ટેડિયમથી વધુ એકવાર વિશ્વભરમાં સામાજીક સંદેશ જશે. જેમાં મેચ જોવા આવનાર પ્રેક્ષકોને અંગદાનની જાગૃતિ અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે. આ અંગે વધુ વિગતો આપતા ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી અનિલ પટેલે જણાવ્યું હતું કે, “આવતીકાલે વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે ભારતની જે વન-ડે સિરીઝ રમાઈ રહી છે, તે મેચ દરમિયાન એક સામાજીક કાર્યક્રમ તે ગુજરાતના જ આપણા પોતાના જયભાઈના નેતૃત્ત્વની નીચે, ગુજરાત ક્રિકેટ એસોસિયેશન, રેડક્રોસ અને BCCI સાથે મળીને એક અભિગમ ઊભો કર્યો છે કે ઓર્ગન ડોનેશનમાં લોક જાગૃતિ ઊભી થાય, તે માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આ સાથે મેચ દરમિયાન હાજર પ્રેક્ષકો ઓર્ગન ડોનેશનની પ્રતિજ્ઞા લેશે. આ માટે મેચ દરમિયાન તેમને યોગ્ય સમય પણ ફાળવવામાં આવશે.”

BCCIએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો :
મહત્ત્વનું છે કે, આ અભિયાન શરૂ થાય તે પહેલાં, BCCI દ્વારા સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં, વિરાટ કોહલી, શુભમન ગિલ, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, રવીન્દ્ર જાડેજા, રિષભ પંત અને હાર્દિક પંડ્યા જેવા સ્ટાર ખેલાડીઓ ઓર્ગન ડોનેશન કરીને હજારો લોકોના જીવ બચાવવાનો મેસેજ આપી રહ્યા છે.