EDના નામે ફોન પર કેદ’ કરી કારખાનેદાર પાસેથી ૫.૩૫ લાખ પડાવાયા
કાન દુ:ખી જાય તેવી કોલરટ્યુન,જાહેરાતોથી સાયબર ક્રાઈમથી જાગૃતિનો પ્રયાસ છતાં આ સ્થિતિ
સવારે ૯:૪૫ વાગ્યાથી ઈડીના આસિ.ડાયરેક્ટર તરીકે વૉટસએપ કોલ કર્યા બાદ કલાકો સુધી ફોન ચાલું રખાવ્યો, કારખાનેથી બેન્ક અને ત્યાંથી ઘર સુધી દોડાવ્યા
ફોન પર જ ડિઝિટલ અરેસ્ટ વોરંટ મોકલ્યું'ને કહ્યું, તમારા નામે સીમકાર્ડ નીકળ્યું છે જેના આધારે બેન્કમાં ખાતું ખોલાવી નાણાંકીય હેરાફેરી કરાઈ છે
ડિઝિટલ અરેસ્ટ’ના કિસ્સામાં વધારો થઈ રહ્યો હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા દરેક ટેલિકોમ કંપનીને આ ક્રાઈમથી જાગૃતિ લાવે તેવી કોલરટ્યુન સેટ કરવાનો આદેશ અપાતાં જ દરેક ફોન ઉપર અત્યારે આ ટ્યુન સંભળાઈ રહી છે. એકંદરે આ કોલરટ્યુનથી લોકોના કાન દુ:ખી રહ્યા છે પરંતુ જાગૃતિ માટે તે જરૂરી હોય લોકો વિરોધ કરી રહ્યા નથી. આ ઉપરાંત અલગ-અલગ માધ્યમો થકી જાહેરાતો પણ કરવામાં આવી રહી છે છતાં તેની કોઈ જ અસર થઈ રહી ન હોય તેવી રીતે ડિઝિટલ અરેસ્ટ અટકવાનું નામ લઈ રહ્યું નથી. રાજકોટના એક કારખાનેદારને ઈડીના નામે ફોન કરી `કેદ’ કરી લીધા બાદ માફિયાઓએ તેમની પાસેથી ૫.૩૫ લાખ રૂપિયા પડાવી લેતાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગે સત્યસાંઈ હોસ્પિટલ રોડ પર પ્રદ્યુમન પાર્ક શેરી નં.૪માં રહેતા અને કાસ્ટિંગની ભઠ્ઠી ધરાવતાં પ્રવીણ ધીરજભાઈ ઉંધાડ (ઉ.વ.૪૭)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે ગત ૨૯ જાન્યુઆરીએ તેઓ પોતાના કારખાને હતા ત્યરે સવારે ૯:૫૪ વાગ્યે વૉટસ ઉપર ૯૭૭૭૪૧ ૬૮૦૬૨ ઉપરથી વૉટસએપ કોલ આવ્યો હતો જે ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ઈડીના આસિસ્ટન્ટ ડાયરેક્ટર નિરજ કુમાર તરીકે આપી હતી. આ પછી તેણે એમ કહ્યું હતું કે પ્રવીણ ઉંધાડના નામે ઈશ્યુ થયેલા સીમકાર્ડ મારફતે કેનેરા બેન્કમાં ખાતું ખોલાવીને તેમાં નાણાકીય હેરાફેરી કરવામાં આવી છે જેને ઈડીએ પકડી પાડ્યો છે. આ પછી એક વ્યક્તિનો ફોટો પણ મોકલ્યો હતો જેને પ્રવીણ ઉંધાડ ઓળખતાં ન હોવાનું કહ્યું હતું.
જો કે કથિત આસિ.ડાયરેક્ટરે પ્રવીણ ઉંધાડને ડરાવ્યા હતા અને વૉટસએપ પર તેમના ફોટા સાથેનું ડિઝિટલ અરેસ્ટ વોરંટ મોકલ્યું હતું. આ જોઈને પ્રવીણ ઉંધાડ ગભરાઈ ગયા હતા અને ફોન કરનાર વ્યક્તિ જેમ કહે તેમ કરવા તૈયારી દર્શાવી હતી. આ પછી ફોન કરનારે પ્રવીણના ખાતામાં રહેલા તમામ પૈસાનું વેરિફિકેશન કરવા માટે ૫.૩૫ લાખની રકમ આરટીસીએજ કરવા જણાવ્યું હતું સાથે સાથે કોઈને વાત ન કરવા ધમકી આપી હતી. ત્યારબાદ પ્રવીણ ઉંધાડ કારખાનેથી નીકળી ઘેર આવ્યા હતા અને ચેકબુક લઈ રાજનગર ચોકમાં આવેલી બેન્કમાં જઈને ૫.૩૫ લાખનું આરટીસીએજ ફોન કરનારના કહ્યા મુજબ કરી આપ્યું હતું. આ બધું પત્યા પછી તેઓ રૂમમાં એકલા બેસી રહ્યા હતા. થોડી વાર બાદ એક મહિલાનો ફોન આવ્યો હતો જેણે એકાઉન્ટનું વેરિફિકેશન થઈ ગયું હોવાથી થશેડી વારમાં ૫.૩૫ લાખનું પેમેન્ટ ખાતામાં જમા થઈ જશે તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. જો કે પૈસા પરત ન આવતાં પ્રવીણ ઉંધાડે મીત્ર સંજય કોરાટને વાત કરતાં છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.