બાંગ્લાદેશી નાગરિકોને શા માટે પાછા મોકલાતા નથી ?? કોનું મુહૂર્ત જોવાય છે ?? સુપ્રીમ કોર્ટનો કેન્દ્ર અને આસામ સરકારને કર્યા સવાલ
સુપ્રીમ કોર્ટે ભારતમાં ગેરકાયદે બાંગ્લાદેશી ઇમિગ્રન્ટ્સની અનિશ્ચિત સમય માટે અટકાયત પર સવાલ ઊઠાવ્યા છે. કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી બાંગ્લાદેશીઓને પરત મોકલવાને બદલે સમગ્ર ભારતમાં સુધાર ગૃહોમાં લાંબા ગાળાની અટકાયતમાં રાખવા અંગે જવાબ માંગ્યો હતો અને એવો સવાલ કર્યો કે એમને શા માટે પાછા મોકલતા નથી , કોનું મુહૂર્ત જોવાય છે ? કેન્દ્ર સાથે આસામ સરકારને પણ સવાલ કર્યા છે.
ન્યાયાધીશ જેબી પારડીવાલા અને આર મહાદેવનની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘જ્યારે કોઈ ગેરકાયદે બાંગ્લાદેશી સ્થળાંતર કરનારને વિદેશી અધિનિયમ 1946 હેઠળ પકડવામાં આવે છે અને દોષિત ઠેરવવામાં આવે છે, ત્યારે તેને તેની સજા પૂર્ણ થયા પછી તરત જ દેશનિકાલ કરવામાં આવે.’
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, વિદેશી અધિનિયમ હેઠળ સજા પૂર્ણ કર્યા પછી હાલમાં કેટલા ગેરકાયદે ઈમિગ્રન્ટ્સને વિવિધ સુધાર ગૃહોમાં અટકાયતમાં રાખવામાં આવ્યા છે?’ સુપ્રીમ કોર્ટે લગભગ 850 ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓની અનિશ્ચિત સમય માટે અટકાયત પર ચિંતા વ્યક્ત કરી હતી.
સુપ્રીમ કોર્ટે 2009ના પરિપત્રના કલમ 2નું પાલન કરવામાં સરકારની નિષ્ફળતા પર પ્રશ્ન ઉઠાવ્યો, જેમાં 30 દિવસમાં દેશનિકાલ પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કોર્ટે કેન્દ્ર તરફથી નક્કર સ્પષ્ટતા કરવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો કે આવા કેસોનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી કયા પગલાંની અપેક્ષા છે.