20 જાન્યુ.પહેલા બંઘકોને મુક્ત નહીં કરાય તો મધ્ય પૂર્વ ને નર્ક બનાવી દઈશ
ટ્રમ્પે વધુ એક વખત હમાસને ચેતવણી આપી
કતારમાં બંધક મુક્તિ માટેની મંત્રણાઓ અંતિમ તબક્કામાં
અમેરિકના ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 20 મી જાન્યુઆરીએ તેઓ પદ સંભાળે તે પહેલા બંધકોને મુક્ત કરી દેવાની અને નહિતર મધ્ય પૂર્વમાં નર્ક જેવી સ્થિતિ સર્જી દેવાની વધુ એક વખત ચેતવણી આપી હતી. બંઘકોની મુક્તિ માટે તેમના વિશેષ દૂત સ્ટીવન ચાર્લ્સ વિટકોફ દ્વારા કતારની રાજધાની દોહામાં ચાલતી મંત્રણાની ફલશ્રુતિ અંગે પત્રકારોના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સમજૂતી થવાની અણી પર છે પણ જો નહીં થાય તો હું મધ્ય પૂર્વને નર્ક બનાવી દઈશ.

દોહાથી પરત ફરેલા વિટકોફે વધુ વિગતો ન આપતા મંત્રણાઓમાં ઘણી પ્રગતિ થઈ હોવાનું જણાવી ટ્રમ્પ શપથ લે એ પહેલાં સારા સમાચાર મળવાનો આશાવાદ દર્શાવ્યો હતો.
જો કે ટ્રમ્પ કોઈ પણ સંજોગોમાં 20 મી જાન્યુઆરી સુધીમાં જ બંધક મુક્તિની વાત પર અડગ છે. તેમણે કહ્યું કે હું મંત્રણાઓને નુકસાન પહોંચાડવા નથી માગતો પણ મારા પદગ્રહણને માત્ર બે જ અઠવાડિયા બાકી રહ્યા છે.ધારદાર ચેતવણી આપતાં તેમણે કહ્યું,” એ હમાસ માટે સારું નહીં હોય, કોઈના પણ માટે સારું નહીં હોય.નર્ક જેવી સ્થિતિ સર્જાશે.મારે બસ આટલું જ કહેવું છે.એ લોકોએ કોઈને બંધક બનાવવાની જ જરૂર નહોતી, એ લોકોએ ઘણા લાંબા સમય પહેલા બધાને મુક્ત કરી દેવાની જરૂર હતી.7 ઓકટોબરનો હુમલો કરવાની જરૂર નહોતી.લોકો એ ભૂલી ગયા છે.પણ એ હુમલો થયો હતો અને અનેક લોકો માર્યા ગયા હતા.”
ટ્રમ્પે વધુમાં કહ્યું કે હવે ત્યાં કોઈ બંધક નથી. તેમણે ઉમેર્યું,” મને ઇઝરાયેલ અને અમેરિકાના લોકો બંધકોને મુક્ત કરાવવા કાકલૂદી કરે છે.ત્યાં કથિત અમેરિકન બંધકો છે.તેમના માતા પિતા મારી પાસે આંસુ સારતા પૂછે છે કે શું તેમના સંતાનોના મૃતદેહો હું પરત લાવી શકીશ?”
15 મહિના થયા છતાં હજુ પણ 97 નાગરિકો બંધક
હમાસે કુલ 251 ઇઝરાયેલી અને અન્ય દેશના નાગરિકોને બંધક બનાવ્યા હતા. એ દરમિયાન થયેલી ત્રુટક ત્રુટક સમજૂતીઓ દરમિયાન કેટલાક બંધકોની મુક્તિ થઈ હતી. તે પછી પણ 14 મહિના થયા છતાં હજુ પણ 97 નિર્દોષ લોકો હમાસના કબજામાં છે. તેમાંથી 35 બંધકોના મૃત્યુ થયા હોવાનું ઇઝરાયેલનું માનવું છે. આ બંધકોની મુક્તિ તેમજ હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામ માટે જો બાઇડેન દ્વારા થયેલા પ્રયત્નો નિષ્ફળ ગયા બાદ ટ્રમ્પે તા.3 ડિસેમ્બરના રોજ આ ધમકી ઉચ્ચારી હતી અને હવે 20મી જાન્યુઆરીને માત્ર 12 દિવસ જ બાકી રહ્યા છે ત્યારે તેનો ફરી પુનરોચ્ચાર કર્યો છે.