તિરંગા યાત્રા દરમિયાન થયેલા હત્યાકાંડમાં 28ને આજીવન કેદ
ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ તિરંગા યાત્રા દરમિયાન ચંદન ગુપ્તાની હત્યા થઇ હતી : NIA કોર્ટનો ચુકાદો
ઉત્તર પ્રદેશના કાસગંજમાં 26 જાન્યુઆરી 2018ના રોજ કાઢવામાં આવેલી તિરંગા યાત્રા દરમિયાન માર્યા ગયેલા ચંદન ગુપ્તાના કેસમાં એન.આઈ.એ કોર્ટે તમામ 28 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. લખનૌ સ્થિત કોર્ટે ગુરુવારે 28 આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.
અગાઉ, આરોપીઓએ NIA કોર્ટની કાયદેસરતા અને સુનાવણી પર સ્ટે આપવા અંગે હાઈકોર્ટમાં અરજી કરી હતી. હાઈકોર્ટની લખનૌ બેન્ચે અરજી ફગાવી દીધી હતી. હાઈકોર્ટ દ્વારા અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ લખનૌની NIA સ્પેશિયલ કોર્ટે ગુરુવારે પોતાનો ચુકાદો આપ્યો હતો અને સજાની જાહેરાત માટે શુક્રવારની તારીખ નક્કી કરી હતી. લગભગ 8 વર્ષ જૂના આ મામલામાં ચંદનના પિતાએ કાસગંજ પોલીસ સ્ટેશનમાં 20 નામ અને અન્ય અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.
લખનૌ જેલમાં બંધ 28 દોષિતો વસીમ જાવેદ ઉર્ફે વસીમ, નસીમ જાવેદ, મોહમ્મદ ઝાહિદ કુરેશી ઉર્ફે ઝાહિદ ઉર્ફે જગ્ગા, આસિફ કુરેશી ઉર્ફે હિટલર, અસલમ કુરેશી, અકરમ, તૌફિક, ખિલ્લન, શવાબ અલી ખાન, રાહત, સલમાન, મોહસીન, આસિફ જિમવાલા, સાકિબ, બબલુ, નિશુ ઉર્ફે ઝીશાન, વાસીફ, ઈમરાન,શમશાદ, જફર, સાકિર, ખાલિદ પરવેજ, ફૈઝાન, ઈમરાન, સાકિર,મોહમ્મદ આમિર રફી કાસગંજ જેલમાં બંધ મુનાજીર અને કોર્ટમાં આત્મસમર્પણ કરનાર સલીમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. લખનૌ જેલમાંથી 26 દોષિતો વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા. એક દોષિત મુનાજીર કાસગંજ જેલમાંથી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયો.
કાસગંજ કેસમાં કોર્ટના નિર્ણય બાદ ચંદનના પિતાએ કહ્યું કે અમે ન્યાયથી ખુશ છીએ, અમે ન્યાયાધીશ અને તમામ લોકોને સલામ કરીએ છીએ. કોર્ટે અમને સમર્થન આપ્યું છે. કોર્ટ અને વકીલે સંપૂર્ણ સહયોગ આપ્યો હતો.
વિશ્વ હિંદુ પરિષદ અને હિંદુ યુવા વાહિનીના કાર્યકરો લગભગ 100 મોટરસાઇકલ પર તિરંગો અને ભગવા ઝંડા લઈને નીકળ્યા હતા. આ તિરંગા યાત્રામાં એબીવીપીના કાર્યકર ચંદન ગુપ્તા પણ સામેલ થયા હતા. યાત્રા દરમિયાન કેટલાક મુસ્લિમ યુવાનો સાથે ઘર્ષણ થયું હતું. આ પછી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં ચંદન ગુપ્તાને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવાયા બાદ કાસગંજમાં સ્થિતિ ઘણા દિવસો સુધી વણસી હતી. કાસગંજમાં લગભગ એક અઠવાડિયા સુધી રમખાણો થયા હતા.