સંસદમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદો અંગે જ્યા બચ્ચને શું કહ્યું ? જુઓ
રાજ્યસભા સાંસદ જયા બચ્ચને ગુરુવારે સંસદમાં થયેલા ધક્કામુક્કીકાંડ અને તેમાં ઘાયલ થયેલા ભાજપના સાંસદો અંગે જોરદાર કટાક્ષ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે આવી સારી એક્ટિંગ ક્યારે ય જોઈ નથી. ઈજાગ્રસ્ત ભાજપ સાંસદ પ્રતાપ સારંગી પર એમણે કટાક્ષ કર્યો હતો. જયા બચ્ચને કહ્યું કે, તેઓ એક્ટિંગ કરી રહ્યા છે. સારંગી સંસદ ભવનની સીડી પરથી પડીને ઈજાગ્રસ્ત થયા હતા.

શુક્રવારે સંસદ ભવન પરિસરમાં ગૃહમંત્રી અમિત શાહની માફી અને રાજીનામાની માંગ સાથે વિપક્ષ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનમાં સામેલ જયા બચ્ચને કહ્યું, ‘અમે લોકો તમામ ગૃહની અંદર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં, આ લોકોએ અમને જવા ન દીધાં. તમામ સીઢીમાં આડા લોકો ઊભા હતાં. આવી સ્થિતિમાં જો કોઈ એક બીજા પર પડશે, તો બાજુવાળો વ્યક્તિ પણ પડશે જ. હું તો એટલું જ કહીશ કે, આ બધો બેકાર ડ્રામા છે.’
ત્રણેયની એક્ટિંગ સારી છે
જયા બચ્ચને આ વિશે વધુમાં કહ્યું, ‘સારંગી જી, રાજપૂત જી અને નાગાલેન્ડની મહિલાથી સારી એક્ટિંગ કોઈ પણ ન કરી શકે. આ ત્રણેયથી સારી એક્ટિંગ કરતાં આજ સુધી કોઈને નથી જોયા. આ બધાં (ભાજપ નેતા) લોકો સીઢી પર ચઢી ગયા હતાં. નીચે તો અમે લોકો ઊભા હતા. અમે ઉપર જવાનો પ્રયાસ કરી રહ્યા હતાં.
જ્યાએ વધુમાં કહ્યું કે હું કહીશ કે, એક્ટિંગ સાથે જોડાયેલા તમામ એવોર્ડ આ લોકોને આપવા જોઈએ. આ બધું કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટ જેવું હતું. હું પોતે આ બધાની સાક્ષી છું, આ લોકો અમને સંસદમાં જવાથી રોકી રહ્યા હતાં. આ લોકોએ અમને ધક્કો માર્યો હતો, જેથી અમને સંસદમાં જતાં રોકી શકાય.’