ઈન્ડિયા ગઠબંધનમાં નવું રાજકીય મહાભારત શરૂ થશે ?? જાણો શું છે નવાજૂનીના એંધાણ
હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ ઈન્ડિયા ગઠબંધનમાં રાજકીય ઉથલપાથલ શરૂ થઈ ગઈ છે. તેની શરૂઆત તૃણમૂલ સુપ્રીમો મમતા બેનર્જીના નિવેદનથી થઈ હતી, જેમાં મમતાએ ગઠબંધનના વડા પદ માટે દાવો કર્યો છે. મમતાના આ દાવાને સમાજવાદી પાર્ટી અને શિવસેના ઉધ્ધવ જેવા પક્ષોનું સમર્થન મળ્યું છે. જ્યારે કોંગ્રેસ તેનો વિરોધ કરી રહી છે. હવે વિપક્ષની અંદર વિપક્ષ જેવુ ચિત્ર ઊભરી રહ્યું છે. હવે ઈન્ડિયા ગઠબંધનમાં બટેગે તો ફસેગે જેવુ જોખમ ઊભું થયેલું દેખાય છે.
વર્ષ 2023માં કોંગ્રેસના નેતૃત્વમાં 26 વિપક્ષી દળોએ સાથે મળીને અલાયન્સ ઓફ ઈન્ડિયાની રચના કરી હતી. લોકસભા ચૂંટણીમાં, ઈન્ડિયા એલાયન્સે 236 સીટો જીતી હતી અને યુપી, મહારાષ્ટ્ર, બંગાળ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં યુતિએ એનડીએને સખત સ્પર્ધા આપી હતી.
અદાણી મુદ્દે સાથી પક્ષોનું અલગ વલણ
સંસદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના મુદ્દે સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કોંગ્રેસથી અલગ વલણ ધરાવે છે. કોંગ્રેસ દ્વારા સતત ઉઠાવવામાં આવતા આ મુદ્દાથી બંને પક્ષોએ પોતાની જાતને બાજુ પર લીધી છે.
ટીએમસીએ તાજેતરમાં રાહુલ ગાંધીની બેઠકનો બહિષ્કાર પણ કર્યો હતો. પાર્ટીનું કહેવું છે કે કોઈ એક વ્યક્તિના મુદ્દે સંસદમાં હંગામો ન થવો જોઈએ. સમાજવાદી પાર્ટીએ એમ પણ કહ્યું છે કે આ મુદ્દા કરતાં બીજા ઘણા મુદ્દા વધુ મહત્વના છે.
અદાણી મુદ્દે શરદ પવારની એનસીપી પહેલાથી જ નરમ વલણ અપનાવી ચુકી છે. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના રાહુલ ગાંધી અદાણી મુદ્દે સૌથી વધુ પ્રહારો કરે છે.
સંભલ મુદ્દે કોંગ્રેસ સપાના રડાર પર
તાજેતરમાં ઉત્તર પ્રદેશના સંભલમાં મંદિર-મસ્જિદ વિવાદને લઈને હિંસક ઘટનાઓ બની હતી. આ ઘટનામાં લગભગ 5 લોકોના મોત થયા છે. સપા સતત આ મુદ્દો લોકસભામાં ઉઠાવી રહી છે. એસપીનું કહેવું છે કે સરકારના ઈશારે હિંસા કરવામાં આવી છે. યુપીમાં સમાજવાદી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી છે. રાહુલે સંભલ મુદ્દે સપા સહિતના સાથી પક્ષોને વિશ્વાસમાં લીધા નથી તેવો ગણગણાટ છે.
કોંગ્રેસને સાઈડલાઈન કરવાની તૈયારી ?
ઈન્ડિયા ગઠબંધનમાં સતત વિખવાદનું મુખ્ય કારણ મહારાષ્ટ્ર અને હરિયાણાની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર છે. બંને રાજ્યોમાં કોંગ્રેસ મુખ્ય લડાઈમાં હતી, પરંતુ ભાજપની આગેવાની હેઠળના એનડીએ દ્વારા તેને ખરાબ રીતે પરાજય મળ્યો હતો. ઈન્ડિયા એલાયન્સની રચના બાદ અત્યાર સુધીમાં 12 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થઈ છે, જેમાંથી 4 રાજ્યોમાં કોંગ્રેસ અને ભાજપની સીધી ટક્કર હતી. આ રાજ્યો છે- છત્તીસગઢ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણા. આ સ્થિતિ વચ્ચે હવે કોંગ્રેસને સાઇડલાઇન કરવાની તૈયારી થઈ રહી હોય તેવું લાગે છે.
.
