મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? શું કરી અપીલ ? વાંચો
વડાપ્રધાન મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમના 116મા એપિસોડને સંબોધિત કર્યું. હતું. એમણે દેશના ઘણા યુવકો ડિજિટલ સિસ્ટમ ઓપરેટ કરતાં વડીલોને શીખવે છે અને ડિજિટલ લાઈફ સર્ટિફિકેટના કામમાં મદદ કરે છે તે વાતનો ઉલ્લેખ કરીને યુવકોની સરાહના કરી હતી. સાથે એમણે દિલ્હીમાં આયોજિત થનાર વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ કાર્યક્રમની પણ જાહેરાત કરી હતી.
મોદીએ કહ્યું કે, એનસીસીમાં જોડાઈને ઘણું શીખી શકાય છે. હું પોતે કેડેટ રહી ચુક્યો છું. એનસીસી યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને સેવાની ભાવના કેળવે છે. જ્યારે પણ કોઈ આપત્તિ આવે છે, ત્યારે કેડેટ્સ મદદ માટે ચોક્કસપણે હાજર હોય છે. આજે એનસીસીને મજબૂત બનાવવા માટે સતત કામ કરવામાં આવી રહ્યું છે. હવે એંનસીસીમાં ગર્લ્સ કેડેટ્સની સંખ્યામાં 40 ટકાનો વધારો થયો છે.
તેમણે કહ્યું, ‘હું આખો મહિનો મન કી બાતની આતુરતાથી રાહ જોઉં છું જેથી હું તમારી સાથે સીધો સંવાદ કરી શકું. લોકો સાથે જોડાવાના મહત્વ પર ભાર મુકતા તેમણે નેશનલ કેડેટ કોર્પ્સ એંસીસીના મહત્વ પર પણ પ્રકાશ પાડ્યો હતો. મોદીએ યુવાનોને તેમાં મોટી સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું કે, એનસીસી યુવાનોના સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે અને તેમના જીવનને સમૃદ્ધ બનાવશે.
વડાપ્રધાને ‘વિકસિત ભારત’ને આકાર આપવામાં યુવાનોની મહત્વની ભૂમિકા વિશે વાત કરી અને કહ્યું કે દેશની પ્રગતિ માટે તેમની ઊર્જા, કૌશલ્ય અને પ્રતિબદ્ધતા જરૂરી છે.
મોદીએ સ્વામી વિવેકાનંદની 162મી જન્મજયંતિ પર 11-12 જાન્યુઆરી, 2025ના રોજ ભારત મંડપમ ખાતે યોજાનાર ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ’ની પણ જાહેરાત કરી હતી. આ પહેલનો ઉદ્દેશ્ય સમગ્ર દેશમાંથી એવા યુવાનોને એકસાથે લાવવાનો છે જેમની પાસે નેતૃત્વના ગુણો છે અને વિકસિત ભારત માટે આગળના માર્ગની ચર્ચા કરવા અને યોજના બનાવવાનો છે.