સંસદના શિયાળુ સત્રમાં વક્ફ બિલ 2024 પસાર થશે નહીં ?
જે.પી.સી.એ ૨૯ નવેમ્બર સુધીમાં અહેવાલ સુપરત કરવાનો છે પરંતુ વિલંબની સંભાવના
મોદી સરકારના ત્રીજા કાર્યકાળ દરમિયાન સંસદમાં રજૂ કરવામાં આવેલ વકફ બિલને લઈને સંસદથી લઈને દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો. ત્યારે હવે 25 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં વકફ બિલ પાસ કરવું એ સરકારના એજન્ડાનો સૌથી મહત્ત્વનો મુદ્દો માનવામાં આવી રહ્યો છે. તાજેતરમાં ગૃહ પ્રધાન અમિત શાહ અને લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ પણ વકફ બિલ પાસ કરાવવાના સંકેતો આપ્યા છે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી કે શિયાળુ સત્રમાં જ આ બિલ પસાર થશે.
વકફ બિલ પર સમીક્ષા કરી રહેલ સયુંકત સંસદીય સમિતિ (JPC)એ પોતાનો અહેવાલ શિયાળુ સત્રના પ્રથમ સપ્તાહના અંતિમ દિવસ સુધીમાં સંસદને સુપરત કરવાનો રહેશે. એટલે કે JPCએ 29મી નવેમ્બર સુધીમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે. સમિતિના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ સમયસર અહેવાલ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જો કે સૂત્રો પાસેથી એવી પણ માહિતી મળી રહી છે કે, જેપીસીનો કાર્યકાળ લંબાવવામાં આવી શકે છે, પરંતુ હાલ તો જેપીસી પોતાનો અહેવાલ નિર્ધારિત સમયની અંદર રિપોર્ટ સોંપવાની તૈયારીઓ કરે છે.
નવમી ઓગસ્ટના જેપીસી રચાયા બાદ જેપીસીએ અત્યાર સુધીમાં 25 બેઠક યોજવામાં આવી છે, જેમાં 146 અલગ-અલગ સંસ્થા પાસેથી અભિપ્રાયો લેવામાં આવ્યા છે. સમિતિએ અત્યાર સુધીમાં 100 કલાકથી વધુ સમય સુધી તમામ બેઠકોમાં ચર્ચાઓ કરી છે. જે સંગઠનો પાસેથી અભિપ્રાય લેવામાં આવ્યો છે તેમાં મુસ્લિમ સંગઠનો ઉપરાંત ઘણા હિંદુ સંગઠનો પણ સામેલ છે. આ ઉપરાંત લોકો અને સંસ્થાઓ પાસેથી ઓનલાઈન અભિપ્રાય પણ માંગવામાં આવ્યો હતો, જેના જવાબમાં સમિતિને 1.25 કરોડથી વધુ ઈમેલ અને લેખિત પત્રો મળ્યા હતા.
આ સમિતિના અધ્યક્ષ સ્થાને જગદંબિકા પાલ છે. 5 નવેમ્બરના રોજ જેપીસીના કેટલાક વિપક્ષી સદસ્યો લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળ્યા હતા. આ સભ્યોએ સ્પીકરને JPC પ્રમુખ જગદંબિકા પાલની કામગીરી અંગે ફરિયાદ કરી હતી. સૌથી મોટી ફરિયાદ એ હતી કે કમિટીની બેઠકો ખૂબ જ ઓછા સમયના અંતરે બોલાવવામાં આવતી હોવાથી તૈયારી કરવાનો અવકાશ મળતો નથી. સભ્યોએ સ્પીકર પાસે ફરિયાદના નિરાકરણની ખાતરી માંગી હતી. આમ છતાં આ વખતના શિયાળુ સત્રમાં સંસદના શિયાળુ સત્રમાં બિલ પસાર કરવામાં શંકા પ્રવર્તી રહે છે.