કેનેડામાં ભયનો માહોલ: લોકો હિન્દુ મંદિરમાં જતા પણ ડર અનુભવે છે
કેનેડાના બ્રેમ્પટોન શહેરમાં હિન્દુ મંદિરમાં યોજવામાં આવેલો વધુ એક કોનસ્યુલર કાર્યક્રમ હિંસક દેખાવોના
ખતરાને ધ્યાનમાં રાખી રદ કરવાની ફરજ પડી હતી.
બ્રેમ્પટોનના પ્રખ્યાત ત્રિવેણી મંદિર અને કમ્યુનિટી સેન્ટર ખાતે ભારતીય રાજદૂત કચેરી દ્વારા તા.17 ના રોજ કેનેડા સ્થિત હિન્દુ, શીખ અને અન્ય ભારતીય નાગરિકોને લાઇફ સર્ટિફિકેટ ના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જો કે બાદમાં તે રદ થયો હોવાની મંદિરના સંચાલકો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
મંદિર તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવ્યા મુજબ ઇન્ટેલિજન્સ રિપોર્ટનો હવાલો આપી પિલ રિજિયોનલ પોલીસે એ કાર્યક્રમમાં અત્યંત હિંસક દેખાવ થવાની સતાવાર ચેતવણી આપી હતી.મંદિરના સંચાલકોએ કેનેડામાં હવે લોકો હિન્દુ મંદિરમાં આવતાં પણ ભય અનુભવે તેવું વાતાવરણ સર્જાયું હોવાનું દુઃખ વ્યક્ત કરી કાર્યક્રમ રદ કરવા બદલ માફી માંગી હતી.
અત્રે એ યાદ કરવું જરૂરી છે કે અગાઉ બ્રેમ્પ્ટોનના હિન્દુ સભા મંદિરમાં ભારતીય રાજદૂત કચેરી દ્વારા યોજવામાં આવેલા આવા જ કાર્યક્રમમાં ખાલીસ્તાનવાદી તત્વોએ હિંદુ સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો. તે પછી વધુ બે કોલસલર કાર્યક્રમ તોફાનના ભયને કારણે રદ કરવામાં આવ્યા હતા. અને હવે ત્રિવેણી મંદિર ખાતે નો વધુ એક કાર્યક્રમ રદ થયો છે.