રાજકોટમાં 21 વર્ષીય યુવકનો ડેન્ગ્યુએ ભોગ લીધો
આજીડેમ પાસે શ્રીરામપાર્કમાં રહેતા પરિવારના પુત્રએ ચાર દિવસની સારવાર બાદ હોસ્પિટલના બિછાને દમ તોડ્યો
શહેરમાં રોગચાળો વકરી ગયો છે. તેમાં ડેગ્યુના કેસોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.ત્યારે આજીડેમ ચોકડી નજીક શ્રીરામ પાકમાં રહેતા વ્યાસ પરિવારના 21 વર્ષીય પુત્રને ડેગ્યુ ભરખી જતા પરિવારમાં અરેરાટી વ્યાપી છે.
જાણવા મળ્યા મુજબ આજીડેમ ચોકડી પાસે શ્રીરામ પાક-૩માં રહેતા અમન લલીતભાઈ વ્યાસ (ઉ.વ.ર૧)ને ચારેક દિવસ પહેલા તબિયત બગડતાં અને તાવ ચડતાં સ્થાનીક તબિબ પાસેથી દવા લીધા બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. રિપોર્ટ થતા તેને ડેગ્યુ હોવાનું જાહેર થયું હતું. તબિબોએ તેની સઘન સારવાર શરૂ કરી હતી. ત્રણ દિવસ ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ અહિ ટુંકી સારવારમાં તેનું મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.મૃત્યુ પામનાર અમન બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેના પિતા લલીતભાઈ રતિલાલભાઈ વ્યાસ ન્યુઝ ચેનલમાં કેમેરામેન તરીકે ફરજ બજાવે છે.