બિહારમાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા : 5ના મોત, 10થી વધુ ઘાયલ
બિહારના બાંકામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને શુક્રવારે રાત્રે હડફેટે લીધા હતા. જેમાં 5 શ્રદ્ધાળુઓના મોત નિપજ્યા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા જેમને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. જોકે, મૃત્યુઆંક વધી શકે છે. અત્યારે દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓમાં ચિતાજનક વધારો થયો છે.
દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલા એસડીએમ અવિનાશ કુમારે જણાવ્યું હતું કે, ‘ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનામાં 10 વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. 5 લોકોના મોત થયા છે, જેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
શુક્રવારે રાત્રે બાંકા જિલ્લામાં પૂરપાટ ઝડપે આવતી કારે કાવડયાત્રીઓને હડફેટે લીધા હતા. જેમાં પાંચ કાવડિયાઓના મોત થયા હતા અને અન્ય ઘણાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામ કાવડયાત્રીઓ સુલતાનગંજથી ગંગા જળ લઈને જૈષ્ટગોરનાથ મહાદેવ મંદિર જઈ રહ્યા હતા. આ ઘટના બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ પોલીસ વાહનને પણ આગ ચાંપી દીધી હતી. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભીડને શાંત કરી હતી.