દેશના `રતન’ની વિદાયથી રમત જગત બન્યું ગમગીન
રોહિત શર્માથી લઈ નીરજ ચોપડા સુધીના ખેલાડીઓએ પાઠવી શ્રદ્ધાંજલિ
દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાએ મુંબઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ૮૬ વર્ષની વયે તેમનું નિધન થયું હતું. નિધન અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં આખો દેશ ગમમાં ડૂબી ગયો હતો. આ સાથે જ રમત જગત પણ ગમગીન બની ગયું હતું.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે એક એવા વ્યક્તિ જેમનું દિલ સોનાનું હતું. સર, તમને હંમેશા એક એવા વ્યક્તિ તરીકે યાદ કરવામાં આવશે જેમણે વાસ્તવિક રીતે બીજાની પરવા કરી અને પોતાનું જીવન બીજા માટે ખપાવી દીધું. ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ કહ્યું કે તેઓ એક દુરદર્શી વ્યક્તિ હતા અને હું તેમની સાથે થયેલી વાતચીતને ક્યારેય ભૂલાવી શકીશ નહીં.
મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ, ક્રિકેટર મોહમ્મદ શમી, પૂર્વ કોચ રવિ શાસ્ત્રી, સૂર્યકુમાર યાદવ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ સહિતનાએ પણ રતન ટાટાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.