રેલવે ટ્રેક સાથે ચેડાં ન થાય તે માટે પેટ્રોલિંગ વધારો: એસપી બલરામ મીણા
દારૂ ઉપરાંત ચાંદી સહિતની હેરાફેરી અટકાવવા માટે સઘન ચેકિંગ કરવા આદેશ: પાટા સાથે ચેડાં કરનારને આકરામાં આકરી સજા થશે
રેલવે ટ્રેક આસપાસ રહેતાં લોકોનું `વૉટસએપ ગ્રુપ’ બનાવાયું, કશું અજુગતું લાગે એટલે મેસેજ કરવા તાકિદ
દેશભરમાં અત્યારે રેલવે ટે્રક સાથે ચેડાં કરવાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે આવી હિન હરકત રાજકોટ કે સૌરાષ્ટ્રમાં ન બને તે માટે રેલવે (વેસ્ટર્ન) એસપી બલરામ મીણા દ્વારા તમામ સ્ટાફને પેટ્રોલિંગ વધારવા ખાસ સુચના આપવામાં આવી હતી. આ ઉપરાંત દારૂ, ચાંદી સહિતની હેરાફેરી અટકાવવા માટે તમામ વિભાગો સાથે સંકલન રાખી સઘન ચેકિંગ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. એસપી મીણાએ ભારપૂર્વક કહ્યું હતું કે રેલવેના પાટા સાથે ચેડાં કરનારને આકરામાં આકરી સજા થશે સાથે સાથે પોલીસ તેમજ આરપીએફ સહિતની એજન્સીઓ આ પ્રકારની હરકતને અટકાવવા માટે ૨૪ બાય ૭ એક્ટિવ છે.
એસપી બલરામ મીણા રાજકોટ રેલવે સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેક્શન કરવા માટે આવ્યા હતા. અહીં તેમણે રેલવેના અલગ-અલગ વિભાગના વડાઓ સાથે બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી સાથે સાથે તેમને કરવામાં આવેલા સુચન પણ સાંભળ્યા હતા. તેમણે કહ્યું કે રેલવે પોલીસ દ્વારા એક વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેના આધારે જરૂરી સુધારા-વધારા કરવામાં આવશે. આ ઉપરાંત પોલીસ સ્ટાફે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું સુચન પણ કરાયું હતું.
તેમણે ઉમેર્યું કે ટે્રન ઉથલાવી નાખવા માટે રેલવે ટે્રક સાથે ચેડાં કરવામાં આવે છે ત્યારે આવું ન બને તે માટે ટે્રક આસપાસ રહેતા લોકો સાથે સંકલન રાખવા માટે પોલીસ દ્વારા એક વોટસએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે ત્યારે ગામલોકો દ્વારા ટે્રક પર કોઈ પ્રકારની હરકત થતી દેખાય એટલે તુરંત એ ગ્રુપમાં મેસેજ કરી શકશે જેથી પોલીસ દ્વારા તાત્કાલિક એક્શનમાં આવી જશે અને મોટી દૂર્ઘટના બનતી અટકાવી શકાશે.