બિહારના જમીનના બદલામાં નોકરી કેસમાં અદાલતે શું કર્યું ? વાંચો
બિહારના ચકચારી જમીનના બદલામાં નોકરીના કેસ મામલે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને દિલ્હીની રાઉઝ એવેન્યુ કોર્ટે મોટી રાહત આપી હતી. કોર્ટે લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજસ્વી યાદવ અને તેજપ્રતાપ યાદવને જામીન આપી દીધા હતા. કોર્ટે તમામ આરોપીઓને 1 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.
આરોપીઓને જામીન આપતાં કોર્ટે કહ્યું કે તેમની ધરપકડ કર્યા વિના જ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેથી કોર્ટે તમામને 1 લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે. સુનાવણી દરમિયાન ઇડીએ કોર્ટને કહ્યું કે રાબડી દેવી, હેમા યાદવ અને મીસા યાદવને જામીન આપવા માટે અગાઉના આદેશની જેમ જ ડાયરેક્શન આપી શકાય છે. ત્યારબાદ કોર્ટે તમામ આરોપીઓને તેમના પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. હવે આ મામલે આગામી સુનાવણી 25મી ઓક્ટોબરે થશે.
લાલુ, તેજસ્વી, તેજપ્રતાપ સહિત તમામ 9 આરોપીઓને એક-એક લાખ રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર રાઉઝ એવેન્યુ કોર્ટે જામીન આપ્યા હતા. આરોપો ઘડવા પર ઊલટતપાસ પહેલાં ચાર્જશીટ અને તેના સંબંધિત દસ્તાવેજોની તપાસ એટલે કે સ્ક્રૂટની કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.
ઇડીએ ચાર્જશીટમાં તેજ પ્રતાપ યાદવને આરોપી નથી બનાવ્યો પરંતુ કોર્ટે તેજ પ્રતાપ યાદવને સમન્સ જારી કરતા કહ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ પણ લાલુ યાદવ પરિવારના સભ્ય છે અને મની લોન્ડરિંગમાં તેમની ભૂમિકાનો ઈનકાર ન કરી શકાય. કોર્ટે કહ્યું હતું કે મોટી સંખ્યામાં જમીન અને મિલકતોના ટુકડા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. યાદવ પરિવારે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. યાદવ પરિવારના નામે પ્લોટ ટ્રાન્સફર થયા છે.