ગરબાપ્રેમીઓ માટે ગુડન્યૂઝ… નવરાત્રીમાં ગરબા લાઉડસ્પીકર સાથે 12 વાગ્યા સુધી અને તેના વગર આખી રાત રમી શકાશે
નવરાત્રીનો તહેવાર નજીક આવી રહ્યો છે અને વન-ડે ગરબાના આયોજનો તો શરુ પણ થઇ ગયા છે ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગરબાના સમય અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે, રાજય સરકાર ઈચ્છે છે કે, દરેક ગુજરાતી આ નવરાત્રીનું પર્વ ઉમંગ અને ઉત્સાહથી ઉજવે. ગુજરાતીઓ સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમી શકશે. વધુમાં આ તહેવારના દિવસો દરમિયાન નાના નાના વેપારીઓ અને ફેરિયાની સરકારી તંત્ર તરફથી ખોટી હેરાનગતિ નહી થાય. આ મુજબની સુચના પણ પોલીસને આપી દેવામાં આવી છે.
એક સવાલના જવાબમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાતી જો ગુજરાતમાં મન મુકીને ગરબા નહી રમે તો ક્યાં જઈને રમશે..રાજ્ય સરકારે ગુજરાતીઓને કોઈ પ્રકારની રોકટોક વગર વહેલી સવાર સુધી ગરબા રમવાની છૂટ આપવાનું નક્કી કર્યું છે. જો કે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ખેલૈયાઓ અને ગરબાના આયોજકોએ નિયમનું પાલન કરવું પડશે. લાઉડ સ્પીકર બંધ કરીને 12 વાગ્યા બાદ પણ ગરબાનું આયોજન ચાલુ રાખી શકાશે. તેમણે કહ્યું કે, નિયમોનું પાલન કરો અને મોડે સુધી ગરબા રમો.
તેમણે એમ પણ કહ્યું છે કે આ દિવસો દરમિયાન નાના વેપારીઓ અને ફેરીયાઓ પણ કમાણી કરતા હોય છે, તો તેમને પણ તહેવારોમાં વધારે ધંધો કરવાની તક મળે. તેમણે પોલીસને કહ્યું છે કે થોડી વધારે જહેમત ઉઠાવી તેઓ તમામ નાગરિકો સુરક્ષિત રીતે આ તહેવારની મજા માણે તેવી વ્યવસ્થા રાખે. આ સાથે તેમણે આયોજકોને પણ કહ્યું કે આસપાસના રહેવાસીઓને હેરાનગતિ ન થાય તે રીતે આયોજન કરવામાં આવે. ખાસ કરીને જો નજીકમાં હૉસ્પિટલ હોય તો વિશેષ ધ્યાન આપવામાં આવે. તેમણે નાગરિકોને પણ અપીલ કરી છે કે તેઓ પોલીસ અને તંત્રને સહયોગ કરે અને તમામ નિયમોનું પાલન કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ અદા કરે.
રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ લાઉડ સ્પીકર બંધ કરીને મોડે સુધી ગરબા ચાલુ રાખવાની આ વર્ષે છૂટ અપાઇ છે. તેથી આ વર્ષે મોડી રાત્રે સુધી ગરબાની રમઝટ બાદ લોકો નાઇટ લાઇફને માણતા ખાણી પીણીની મજા માણી શકશે. ખાણી પીણીના વેપારી, ગરબાનો આયોજકો અને ખેલૈયાઓએ રાજ્ય સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.