હરિયાણાની જનતા માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી કેવા વાયદા કર્યા ? જુઓ
હરિયાણા વિધાન સભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ ચૂંટણી ઢંઢેરો ચૂંટણી માટે નથી. કાયમના વિકાસ માટે છે.
સંકલ્પ પત્રમાં એવા વાયદા થયા છે કે ગરીબો માટે 5 લાખ આવાસ બનશે. 2 લાખ નોકરીઓ યુવાઓને અપાશે. છાત્રાઓને સ્કૂટી આપવામાં આવશે. મહિલાઓને દર મહિને રૂપિયા 2100 અપાશે. ઓબીસી વર્ગના સાહસિકોને રૂપિયા 25 લાખ સુધીની લોન અપાશે.
મહત્વનું વચન એ છે કે હરિયાણાના બધાજ અગ્નિવીરોને કાયમી નોકરી અપાશે. દરેક જિલ્લામાં ઓલિમ્પિક ખેલો માટે ટ્રેનિંગનું આયોજન કરાશે. દરેક ગૃહિણીને ગેસ સિલિન્ડર માટે રૂપિયા 500 ની સબસિડી અપાશે.
ચૂંટણી ઢંઢેરો જાહેર કરતી વખતે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, અમારી સરકારે 5 વર્ષ પહેલા કરેલા વચનો પૂરા કર્યા છે. અમે 2014માં જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. અમે 187 વચનો આપ્યા હતા અને અમે ગર્વથી કહી શકીએ કે અમે તમામ વચનો પૂરા કર્યા છે. લોકો અમારા પર વિશ્વાસ કરે છે કારણ કે અમે અમારો ચૂંટણી ઢંઢેરો પૂરો કરીએ છીએ. બીજી પાર્ટીઓ એવા વચનો આપે છે જે વાસ્તવિક નથી અને તેને ક્યારેય પૂર્ણ નથી કરી શકાતા.
સીએમએ આગળ કહ્યું કે, અમે તમને ખાતરી આપીએ છીએ કે અમે આજે જે વચન આપી રહ્યા છીએ તે પૂરા કરીશું. લોકો હવે કોંગ્રેસથી ત્રસ્ત છે અને હરિયાણાના લોકો ભાજપની સાથે છે. ભાજપ ખટા-ખટ અને ટકા-ટકની રાજનીતિમાં વિશ્વાસ નથી કરતી. કોંગ્રેસે હરિયાણાના લોકોને હંમેશા દગો આપ્યો છે પરંતુ હવે લોકો કોંગ્રેસનો અસલી ચહેરો જાણી ગયા છે.