બિહારમાં કયા કૌભાંડમાં લાલુ પરિવાર ફરી મુશ્કેલીમાં ? વાંચો
બિહારમાં લેન્ડ ફોર જોબ કૌભાંડમાં લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધવાની છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે ઇડીની પૂરક ચાર્જશીટની નોંધ લીધી હતી અને કોર્ટે તેજસ્વી યાદવ અને લાલુ પ્રસાદ યાદવને સમન્સ મોકલ્યા હતા. 7 ઓક્ટોબરે બધાએ કોર્ટમાં હાજર થવું પડશે.
મળતી માહિતી મુજબ કોર્ટે તમામ 8 આરોપીઓને સમન્સ મોકલ્યા છે. ઈડીએ 6 ઓગસ્ટના રોજ પૂરક ચાર્જશીટ દાખલ કરી હતી. આ કેસમાં તેજસ્વી યાદવ અને લાલુ યાદવ સહિત કુલ 11 લોકો સામે પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ આરોપીઓના મૃત્યુ થયા છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓને 7 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો છે.
જાણો શું છે સમગ્ર મામલો
આરોપ મુજબ, રેલ્વે મંત્રી રહીને લાલુ પ્રસાદે ભારતીય રેલ્વેના 11 ઝોનમાં ગ્રુપ ડીની નિમણૂંકોમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો અને લોકોની જમીનો અને ફ્લેટ લઈ તેમને રેલ્વેમાં નોકરી અપાવી હતી. સીબીઆઈ અને ઈડી બંને એજન્સી આ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે લાલુએ આ જમીનો પોતાના અને પરિવારના સભ્યોના નામે રજીસ્ટર્ડ કરાવી હતી. આ કેસમાં સીબીઆઇ અને ઇડીએ લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી, પુત્રી મીસા ભારતી, બીજી પુત્રી હેમા યાદવ, તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ સહિત ઘણા લોકો પર આરોપ લગાવ્યા છે.
આ નેતાઓ જામીન પર છે
આ કેસમાં ભોલા યાદવ અને અમિત કાત્યાલ સિવાય લાલુ યાદવ, તેજસ્વી, રાબડી, મીસા તમામ જામીન પર છે. આ કેસની સુનાવણી દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાલી રહી છે.