વીજ કંપનીની જોહુકમી સામેના ખેડૂત આંદોલનમાં જેતપરમાં નારીશક્તિનો જનસેલાબ ઉમટી પડ્યો
મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીની દાદાગીરી અને જોહુકમીના વિરોધમાં ચાલી રહેલ ખેડૂત આંદોલને આજે ૯મા દિવસમાં પ્રવેશ કર્યો છે. ગુરૂવારે સાંજે જેતપર ઉપવાસી છાવણી ખાતે વીજ કંપનીની તાનાશાહી સામે દીકરીઓએ એક નાટક રજૂ કર્યું હતું જે નાટક નિહાળવા અને ખેડૂત આંદોલને સમર્થન આપવા મોરબી જિલ્લામાંથી ૩૫ હજારથી વધુ નારી શક્તિ બહોળી સંખ્યામાં ઉમટી પડી રાજ્ય સરકાર અને ખાનગી વીજ કંપનીને ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું જે રાજ્ય સરકાર કોઈ નક્કર પગલાં નહીં લે તો મહિલાઓ બાઈક રેલી લઈ ગાંધીનગરને ઘેરાવ કરશે તેવી ચીમકી આપી છે.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વીજ કંપની હેવી ટેન્શનવાળી વીજલાઈન નાખી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવતી ન હોય અને આડેધડ ખેતરમાં ખાડા કરી ખેડૂતોને નુકસાન કરતા હોય ખાનગી વીજ કંપનીના જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો જંગે ચડ્યા છે.
મોરબીના જેતપર ખાતે ૮ દિવસથી ખેડૂતોની ઉપવાસી છાવણી શરૂ કરવામાં આવી છે અને દિવસે ને દિવસે ખેડૂત આંદોલનને સૌરાષ્ટ્રભરમાંથી સમર્થન મળી રહ્યું છે. બુધવારે ખેડૂતોએ ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ રાખ્યો હતો જેમાં રેકર્ડબ્રેક ૫૫૫૧ બોટલ રક્ત એકત્ર થયું હતું.
ગુરૂવારે સાંજે જેતપર ઉપવાસી છાવણી ખાતે મોરબી જિલ્લામાંથી મોટી સંખ્યામાં નારી શક્તિ ઉમટી પડી હતી જેના પગલે ઉપવાસી છાવણી ખાતે બેસવાની જગ્યા ઓછી પડી હતી. એકસાથે ૩૫ હજારથી વધુ મહિલાઓએ ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો: અશાંત જંગલેશ્વર પાસેની ૩૦ સોસાયટીમાં આગામી પાંચ વર્ષ માટે અશાંતધારો લાગુ
આ તકે ખેડૂત નેતા નિલેષ એરવાડિયાએ રાજ્ય સરકારને ખેડૂતના પ્રશ્નનો નિવેડો લાવવા ૪૮ કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. રાજ્ય સરકાર ખેડૂતોની છ માંગણી સ્વીકારી જૂનો પરિપત્ર રદ કરવી અને વીજ કંપનીનું કામ અટકાવવા ચીમકી આપવામાં આવી છે. જો ૪૮ કલાકમાં રાજ્ય સરકાર કોઈ નિર્ણય નહીં લે તો મહિલાઓ બાઈક રેલી કાઢી ગાંધીનગરને ઘેરાવ કરશે તેવી ચીમકી આપી છે.
વીજ કંપનીની દાદાગીરી સામે કચ્છથી દ્વારકા ખેડૂત ન્યાય યાત્રા
મોરબી, સુરેન્દ્રનગર ખાનગી વીજ કંપનીની દાદાગીરીના વિરોધમાં ચાલી રહેલા આંદોલન દિવસે ને દિવસે ઉગ્ર બનતું જાય છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિએ પણ ખેડૂત આંદોલનને ટેકો આપી મહા આંદોલનનું એલાન કર્યું છે જેમાં ખેડૂતોના બંધારણિય હક્ક માટે ૨૬ જૂનના સવારે ૯ કલાકે કચ્છના રાપરથી ૫૦૦ કિલોમીટર લાંબી ખેડૂત ન્યાય યાત્રાનો પ્રારંભ કરશે જે પદયાત્રા દ્વારકા સુધી જશે.
આ પદયાત્રા કચ્છથી નીકળી મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર થઈને દ્વારકા પહોંચશે જ્યાં સરકારને સદ્બુધ્ધિ આપવા દ્વારકાધીશની ચરણોમાં પ્રાર્થના કરાશે. આ યાત્રાનું નેતૃત્વ ખેડૂત નેતા પાલભાઈ આંબલિયા, મહેશ રાજકોટીયા, જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ સહિતના આગેવાનો જોડાશે.
