નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ પાણીના ખાડામાં ડૂબી જતાં બે બાળકોના મોત
રૈયાધારમાં રહેતા ત્રણ મિત્રો રમતા-રમતા ખાડામાં ન્હાવા પડયા અને બે ઊંડા પાણીમાં ગરક થયા : એકનો જીવ બચ્યો
રાજકોટમાં ધોધમાર વરસાદ ખાબક્યા બાદ અનેક વિસ્તારોમાં ખાડા અને ખાબોચ્યા ભરાઈ ગયા છે.અને આ લોકો માટે જીવલેણ સાબિત થાય છે.ત્યારે નવી કોર્ટ બિલ્ડિંગ પાછળ પાણીના ખાડામાં રૈયાધારમાં રહેતા ત્રણ મિત્રો ન્હાવા પડયા હતા.અને પાણી ઊંડું હોવાથી તેમ બે મિત્રો ગરકાવ થતાં તેમનું મોત થયું હતું.જ્યારે એકનો આબાદ બચાવ થયો હતો.આ મામલે યુનિવર્સિટી પોલીસે બંને બાળકોના મૃતદેહને પીએમ માટે ખસેડયા હતા.
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગઇકાલ બપોરે ર વાગ્યાના આસપાસ રૈયાધાર વિસ્તારમાં રહેતા ત્રણ મિત્રો નવી કોર્ટ પાછળ આવેલ વરસાદી પાણીના ખાડામાં ન્હાવા માટે ગયા હતા જેમાં બે મિત્રો ભીખુ મુન્નાભાઇ ભુંડીયા (ઉ.વ.10, રહે. રૈયાધાર, રંભામાની વાડી પાસે) અને મયુર વિજયભાઇ હળવદીયા (ઉ.વ.10, રહે. યોગરાજનગર, રૈયાધાર) ઊંડા પાણીમાં ગરક થયા હતા.અને ત્રીજો મિત્ર કરણ વિજયભાઇ દેવીપૂજક ખાડાના કિનારા પાસે જ હોવાથી તેનો જીવ બચી ગયો હતો.
આ ઘટના કોઈ જાગૃત નાગરિકના ધ્યાને આવતા તેને બનાવની જાણ પોલીસ અને 108ને કરતાં યુનિવર્સિટી પોલીસ અને 108નો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જ્યારે પાણીમાં ડૂબતાં બંને યુવકને બહાર કાઢયા હતા. જેમાંથી ભીખુને તપાસી સ્થળ પર મૃત જાહેર કર્યો હતો. અને મયુરને 108 મારફત સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડ્યો હતો.પરંતુ અહી સારવાર મળે તે પૂર્વે જ તેનો જીવ ગયો હતો.પોલીસે સ્થળ પર જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.મૃત્યુ પામનાર ભીખુ ચાર બહેનનો એકને એક ભાઈ હતો.અને તેના પિતા મજૂરી કામ કરે છે.