બાંગ્લાદેશમાં થયેલા બળવા પાછળ અમારો કોઈ હાથ નથી : અમેરિકા
- શેખ હસીનાએ લગાવેલા આરોપોને વ્હાઈટ હાઉસનાં પ્રવક્તાએ નકાર્યા
વોશિંગ્ટન
અમેરિકાએ બાંગ્લાદેશમાં સત્તાપલટો અને રાજકીય ઉથલપાથલના પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે તેમાં અમારી કોઈ ભૂમિકા નથી.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, કેરીન જીન પિયરે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “આમાં અમારી કોઈ સંડોવણી નથી. કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો ફક્ત એક અફવા છે કે અમીરીકી સરકારનો આમા હાથ છે. આ બાબત સંપૂર્ણ જૂઠાણું છે.”
જીન પિયરે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશી જનતાએ બાંગ્લાદેશી સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. તે તેમના માટે અને તેમના વતી પસંદગી છે. આવી ઘટનામાં અમેરિકાનો હાથ હોવાનો કોઈપણ આક્ષેપ ચોક્કસપણે ખોટો અને તદ્દન ખોટો છે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરના થયેલા હુમલાઓ સંદર્ભે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શન થયું છે તે અંગે જીન પિયરે કહ્યું કે યુએસ પરિસ્થિતિ પર નજર રાખશે. આનાથી આગળ મારી પાસે કહેવા કે ઉમેરવા માટે કંઈ નથી.
બીજી તરફ અમેરિકા સ્થિત વિદેશ નીતિ નિષ્ણાત અને વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા સંસ્થાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને પણ શેખ હસીનાની હકાલપટ્ટી અને બળવા પાછળ વિદેશી હસ્તક્ષેપના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ દાવાઓને સમર્થન આપતા કોઈપણ પ્રકારના પુરાવા મળ્યા નથી.