પોલિયો રવિવાર: રાજકોટ જિલ્લામાં રસીકરણ માટે બનાવાઇ ૧૭૨૨ ટીમ
૯૨૫ રસીકરણ બુથ બનાવાયા: આંતરિયાળ વિસ્તારોમાં રસીકરણ માટે ૧૮૫ મોબાઈલ ટીમ કરશે કામગીરી
રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબૂદી માટે તા.૨૩મીએ પોલિયો રવિવારના દિવસે રસીકરણ કરવામાં આવશે. જે માટે ૧૭૨૨ રસીકરણ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે ૯૨૫ રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે.
રાજકોટ જિલ્લામાં બાળ લકવા નાબૂદી માટે તા.૨૩મીએ પાંચ વર્ષથી નીચેના બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. જે માટે આરોગ્ય વિભાગ દ્વારા ૧૭૨૨ રસીકરણ ટીમ અને ૯૨૫ રસીકરણ બુથ બનાવવામાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૧૬૯૯૮૨ બાળકોને રસી આપવામાં આવનાર છે. આ ઉપરાંત આંતરિયાળ, વાડી વિસ્તારમાં રસીકરણ માટે ૧૮૫ મોબાઈલ ટીમ બનાવવામાં આવી છે. જ્યારે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતાં હોય તેવી જગ્યાઓ માટે ૪૬ ટ્રાન્ઝિટ ટીમ પણ બનાવાઇ છે. રસીકરણની દરેક ટીમમાં આરોગ્ય કર્મચારી, આશા વર્કર, આંગણવાડી કાર્યકર તેમજ સ્વયંસેવકો કામગીરી કરશે.
બાલ લકવા નાબૂદીના પ્રથમ દિવસે દરેક ગામમાં રસીકરણ બુથ પર બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવશે. જ્યારે બીજા અને ત્રીજા દિવસે આરોગ્ય વિભગની ટીમ ગામમાં દરેક ઘરની મુલાકાત લઈને કોઈ બાળક રસીથી વંચિત રહી ગયો છે કે નહી? તેની ખાતરી કરવામાં આવશે અને જો રસીકરણમાં બાકી હશે તો સ્થળ પર જ રસી આપવામાં આવશે.