રાહુલ ગાંધીએ રાયબરેલીમાં વડાપ્રધાન વિષે શું કહ્યું ? જુઓ
લોકસભા ચૂંટણી 2024માં કોંગ્રેસના શાનદાર પ્રદર્શન બાદ પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા મંગળવારે ઉત્તર પ્રદેશ પહોંચ્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ યુપીના રાયબરેલીમાં કાર્યકર્તાઓની પ્રશંસા સમારોહમાં કહ્યું કે તેઓ અમેઠી અને રાયબરેલીના લોકોનો હૃદયપૂર્વક આભાર માને છે.
યુપી લોકસભા ચૂંટણીના પરિણામોના આધારે રાહુલ ગાંધીએ ભાજપ પર કટાક્ષ કર્યો અને કહ્યું કે તેઓ (ભાજપ) અયોધ્યા બેઠક પણ હારી ગયા છે. અયોધ્યામાં જ નહીં વારાણસીમાં પણ તેઓ પોતાનો જીવ બચાવીને બહાર આવ્યા હતા. તેમણે કહ્યું કે જો પ્રિયંકા ગાંધી વારાણસીથી ચૂંટણી લડ્યા હોત તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 થી 3 લાખ મતોથી હારી ગયા હોત. એમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાને જીત બાદ બંધારણ માથા પર મૂક્યું અને આ કામ તમે જ કરાવ્યું છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે હું મારા કાર્યકરોનો આભાર માનું છું કે તમે ખૂબ મહેનત કરી અને તેના કારણે કોંગ્રેસ પાર્ટી જીતી. તેમણે કહ્યું, “કોંગ્રેસ પાર્ટી રાયબરેલી, અમેઠી, ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશમાં એક થઈને લડી હતી. હું સમાજવાદી પાર્ટીને કહેવા માંગુ છું કે તેમના અને અમારા કાર્યકર્તાઓ સાથે મળીને લડ્યા હતા. મેં પહેલીવાર જોયું કે ભારત ગઠબંધનની દરેક પાર્ટીના કાર્યકરો સાથે છે.
તેમણે કહ્યું, “પહેલાં ગઠબંધન હતું, પરંતુ ફરિયાદો હતી. આ વખતે બધા એક સાથે લડ્યા. તમિલનાડુ, રાજસ્થાન, મણિપુર, તેલંગાણા સહિત દરેક રાજ્યમાં સૌ એક થઈ ગયા. તેનું કારણ એ છે કે બધા સમજી ગયા કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંધારણનો નાશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશે સંદેશ આપ્યો છે કે અમને દેશ અને રાજ્યમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી જોઈએ છે. તેમણે કહ્યું કે ભારતની જનતાએ પીએમ મોદીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે અમે ભલે વિપક્ષમાં બેઠા હોઈએ, પરંતુ અગ્નિવીર યોજના બંધ કરાવવાના અમારા પ્રયત્નો રહેશે.