રાજકોટને હરિયાળું બનાવવાના સ્વપ્ન મહાપાલિકા દ્વારા સેવાઈ રહ્યા છે ત્યારે બીજી બાજુ મસમોટા બિલ્ડિંગ બનાવી કરોડો રૂપિયાની કમાણી કરતા અમુક બિલ્ડર દ્વારા આ સ્વપ્ન પણ પાણી ફેરવવાનું નક્કી કરી લેવાયું હોય તેમ વૃક્ષોનો સોથ વાળી દેવામાં જરા પણ પાછીપાની કરાઈ રહી નથી. આવું જ કંઈક ટાગોર રોડ પર બની રહેલા ટાગોર બિઝનેસ સેન્ટર (ટીબીસી)ના ડાયરેક્ટર તેમજ મેનેજરે કરી બતાવ્યું છે ! આ બન્નેને જાણે કે ત્યાં ઉગેલા વૃક્ષોનો સોથ વાળી દેવાનું શૂરાતન ચડી ગયું હોય તેમ એક પછી એક વૃક્ષો કાપી નાખતાં લતાવાસીઓ સાથે ચકમક ઝરી હતી.
ટીબીસીના ડાયરેક્ટર અનુજ ચપલા, મેનેજર ગીરીશ પાઠક દ્વારા સોસાયટીના સહયોગથી વૃક્ષ વાવેલા હોય તેને કાપી રહ્યાની જાણ થતાં જ લતાવાસીઓ દોડી ગયા હતા અને બન્નેને પૂછતાં એક મંજૂરીપત્ર પણ બતાવ્યો હતો જેમાં એવું લખાણ હતું કે બિલ્ડિંગની અંદર આવતા ઝાડ કાપવાની મંજૂરી છે પરંતુ આ બન્નેએ તો બિલ્ડિંગની બહાર આવેલા વૃક્ષ ઉપર કરવત ફેરવવાનું શરૂ કરી દીધું હોવાનું ધ્યાન પર આવતાં તેનો વિરોધ થયો હતો. આ પછી બન્નેએ એમ કહ્યું હતું કે વૃક્ષ કાપ્યા બાદ અહીં પીજીવીસીએલનું સબ સ્ટેશન લગાવવાનું છે પરંતુ પીજીવીસીએલ પાસે માણસો ન હોય આ લોકોને ઝાડ કાપી નાખવા માટે કહ્યું હતું !
આ અંગે વાત વકરવાની શક્યતાને પગલે લતાવાસીઓ દ્વારા પોલીસને બોલાવાઈ હતી અને આ અંગે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા તજવીજ કરાઈ હતી પરંતુ જાણે કે ટીબીસીના ડાયરેક્ટર-મેનેજરે મામલો પામી લીધો હોવાથી અને પોતાની ભૂલ સમજી લીધી હોવાથી મનામણા શરૂ કર્યા હતા અને આખરે આ મામલે સમાધાન કરી લીધું હતું.
ખેર, સમાધાન તો થઈ ગયું પરંતુ વૃક્ષોનો સોથ વળી ગયો એનું શું ? આ અંગે મહાપાલિકા દ્વારા બિલ્ડર સામે આંખમીચામણા કરી દેવાયા હોવાનો આક્ષેપ પણ કરાઈ રહ્યો છે સાથે સાથે પ્રકૃતિપ્રેમીઓમાં રોષ પણ વ્યાપી જવા પામ્યો છે.