અરવિંદ કેજરીવાલે ઇડીના 9 સમન્સ શા માટે અવગણ્યા ?;સુપ્રીમ કોર્ટનો સવાલ
ધરપકડની કાયદેસરતાને પડકારતી અરજી પર સોમવારે સુનાવણી થઈ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઈડી દ્વારા થયેલી ધરપકડની કાયદેસરતાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા બાદ સોમવારે સુનાવણી હાથ ધરાઈ હતી. ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયાધીશ દીપાંકર દત્તાની ખંડપીઠે કેજરીવાલના સીનિયર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીની દલીલો સાંભળ્યા બાદ મંગળવારે પણ સુનાવણી કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે સોમવારે કોર્ટે કોઈ પણ આદેશ પસાર કર્યો નથી.
ઈડીએ લિકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં પીએમેલએ હેઠળ 21 માર્ચે અરવિંદ કેજરીવાલની તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરી હતી. હાલ તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં તિહાર જેલમાં બંધ છે.
ન્યાયાધીશ સંજીવ ખન્નાએ સિંઘવીને પૂછ્યું કે, ઈડીએ કેજરીવાલને નવ વખત સમન્સ મોકલ્યા હતા, તેમણે દર વખતે કેમ ટાળી દીધા? તો સિંઘવીએ કહ્યું કે, જ્યારે સીબીઆઈએ તેમને બોલાવ્યા તો તેઓ ગયા અને ઈડીની નોટિસનો વિસ્તારથી જવાબ આપ્યો હતો. પરંતુ ઈડી એવું ન કહી શકે કે, સમન્સ મોકલવા છતાં તમે ન આવ્યા તેથી ધરપકડ કરવામાં આવી.
ઈડીની ઓફિસ ન જવું તેમનો અધિકાર છે. આ મામલે અલગથી કેસ ચાલી રહ્યો છે. આ બાબત ધરપકડનો આધાર અથવા કારણ ન હોઈ શકે. ઈડીએ ધરપકડ કર્યા પહેલા પીએમએલએની કલમ-50 હેઠળ કેજરીવાલનું નિવેદન નોંધ્યું નથી. સંજય સિંહના કેસમાં પણ આવું જ થયું હતું.