સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીયોને તુરંત છોડવા પાકિસ્તાનને ભારતની આકરી નોટિસ
કાશ્મીરના પહેલગામની બૈસરન ઘાટીમાં હિન્દુ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું છે. સિંધુ જળ સંધિ સ્થગિત કર્યા બાદ હવે દિલ્હીએ રાજદ્વારી મોરચો ખોલ્યો છે. પાકિસ્તાનની જેલોમાં સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા ભારતે પાકિસ્તાનને યાદી સોંપીને સ્પષ્ટ ચેતવણી આપી છે.
કોન્સ્યુલર કરાર હેઠળ યાદીઓની આપ-લે
2008ના કોન્સ્યુલર એક્સેસ કરાર હેઠળ ભારત અને પાકિસ્તાને 1 જુલાઈના રોજ એકબીજાની કસ્ટડીમાં રહેલા કેદીઓ અને માછીમારોની યાદીનું આદાન-પ્રદાન કર્યું. ભારતે તેની જેલમાં બંધ 386 પાકિસ્તાની નાગરિક કેદીઓ અને 53 પાકિસ્તાની માછીમારોની યાદી ઈસ્લામાબાદને સોંપી. સામે પાકિસ્તાને તેની કસ્ટડીમાં રહેલા 52 ભારતીય નાગરિક કેદીઓ અને 198 ભારતીય માછીમારોની યાદી નવી દિલ્હીને આપી.
188 ભારતીયોને તુરંત છોડવાની માંગ
આ પ્રસંગે ભારતે આકરું વલણ દાખવીને પાકિસ્તાનને કહ્યું કે સજા પૂરી કરી ચૂકેલા 188 ભારતીય માછીમારો અને નાગરિક કેદીઓને વહેલી તકે મુક્ત કરી સ્વદેશ પરત મોકલવામાં આવે. સાથે જ ભારતે 13 એવા ભારતીય કેદીઓ માટે તાત્કાલિક કોન્સ્યુલર એક્સેસની પણ માંગણી કરી છે જેમને હજુ સુધી આ સુવિધા મળી નથી. ભારતે સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન તમામ ભારતીય કેદીઓની સલામતી, સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત કરે.
ગુમ થયેલા સંરક્ષણ કર્મીઓનો મુદ્દો પણ ઉઠ્યો
વિદેશ મંત્રાલયે ગુમ થયેલા ભારતીય સંરક્ષણ કર્મચારીઓનો મુદ્દો પણ ઉઠાવ્યો અને તેમને જલ્દી ભારત પરત મોકલવાની માંગણીનો પુનરોચ્ચાર કર્યો. મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત સરકારના સતત પ્રયાસોને કારણે 2014થી અત્યાર સુધીમાં 2661 ભારતીય માછીમારો અને 78 ભારતીય નાગરિક કેદીઓ પાકિસ્તાનથી સ્વદેશ પરત ફર્યા છે. તેમાં 2023થી અત્યાર સુધીમાં 500 માછીમારો અને 20 નાગરિક કેદીઓનો સમાવેશ થાય છે.
પહેલગામ હુમલા બાદ વધ્યો તણાવ
ગયા વર્ષે પહેલગામના બૈસરન ઘાટીમાં પાકિસ્તાની આતંકીઓએ હિન્દુ પ્રવાસીઓ પર કરેલા હુમલા બાદ ભારત-પાકિસ્તાન સંબંધો તળિયે પહોંચ્યા છે. ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ તેમજ સૈન્ય અડ્ડાઓને તબાહ કરી નાખ્યા હતા. પાકિસ્તાન સિંધુ જળ સંધિ પુનઃસ્થાપિત કરવા હવાતિયા મારી રહ્યું છે અને યુદ્ધ સુધીના ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યું છે. જોકે ભારત આતંકવાદના મુદ્દે અડગ છે અને સિંધુ જળ સંધિ પર એક ઇંચ પણ પીછેહઠ કરવા તૈયાર નથી. આવા તણાવપૂર્ણ માહોલ વચ્ચે કેદીઓની યાદીનું આદાન-પ્રદાન થયું છે.
