અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા આજે ભાજપમાં જોડાશે
વરાછામાં યોજાયેલા કાર્યક્રમમાં સી.આર. પાટીલના હસ્તે ૩૦૦ સમર્થકો સાથે કેસરિયો ધારણ કરશે
કેટલાક સમય પહેલા પાટીદાર આંદોલન થકી પોતાની ઓળખ બનાવનાર પાસના પૂર્વ કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા શનિવારે વરાછામાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરિયો ખેસ ધારણ કરશે.
શનિવારે સી.આર.પાટીલની અધ્યક્ષતામાં સરદાર મીની બજાર માનગઢ ચોક ખાતે આવેલા સરદાર પ્રતિમા વિસ્તારમાં સાંજે 8:00 કલાકે યોજાનારા કાર્યક્રમમાં તેઓ ભાજપમાં જોડાશે. 18મી એપ્રિલના રોજ તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારથી જ ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી.
આ કાર્યક્રમમાં સી.આર.પાટીલ સાથે સુરત ભાજપ શહેર પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસુરીયા, સાંસદ મુકેશ દલાલ, મેયર દક્ષેશ માવાણી સહિત ભાજપના આગેવાનો હાજર રહેશે.
અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિંયા સાથે તેમના કાર્યકારી સમિતિમાં રહી ચૂકેલા કેટલાક આગેવાનો તેમની સાથે જોડાવા જઈ રહ્યા છે. ધાર્મિક માલવિયાએ આ અંગે જણાવ્યું હતું કે, આશરે 300થી પણ વધુ લોકો તેમની સાથે ભાજપમાં જોડાશે. આ સાથે સુરતના સામાજિક સંસ્થા સાથે સંકળાયેલા કેટલાક લોકો પણ ભાજપમાં જોડાઈ શકે છે.
ભાજપમાં જોડાવા પાછળનું કારણ ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે, આજ દિન સુધી અમે આમે સામે લડ્યા છીએ. હવે સાથે મળીને સમાજ, રાજ્ય અને દેશ માટે કામ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વન મેન આર્મી છે તેમની સામે કોઈ લડી શકે નહીં. તેઓ દેશના વિકાસ માટે કામ કરી રહ્યા છે જેથી અમને લાગ્યું કે, અમે પણ તેમની સાથે જોડાઈએ.