ટ્રેનમાં વેઈટીંગ ટીકીટ બનશે ભૂતકાળ, બધાને કન્ફર્મ ટીકીટ જ મળશે..વાંચો
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આપી માહિતી , કહ્યું આ નરેન્દ્ર મોદીની ગેરેન્ટી છે…
વેકેશન કે તહેવારોના સમયમાં રેલવેની મુસાફરીમાં કન્ફર્મ ટીકીટ મેળવવી એટલે લોઢાના ચણા ચાવવા જેવું થઇ જાય છે. લોકો બર્થ મેળવવા માટે વધારાના રૂપિયા પણ આપતા હોય છે ત્યારે આવા સંજોગોમાં કેન્દ્રના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, રેલવે એવી વ્યવસ્થા ગોઠવવા જઈ રહ્યું છે કે જેનાથી તમામ લોકોને કન્ફર્મ ટીકીટ જ મળી જાય. ટૂંકમાં વેઈટીંગ ટીકીટની ઝંઝટમાંથી પ્રવાસીઓને મુક્તિ મળી જશે.
અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી અનુસાર આગામી પાંચ વર્ષમાં રેલવેથી પ્રવાસ કરનારા તમામ પ્રવાસીઓને કન્ફર્મ ટિકિટ મળશે અને આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેન્ટી છે. છેલ્લાં 10 વર્ષમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રેલવેમાં ઘણા મહત્ત્વના ફેરફારો કર્યા છે. આગામી પાંચ વર્ષમાં પીએમ મોદીની ગેરેન્ટી છે કે રેલવેની ક્ષમતા એટલી બધી વધારવામાં આવશે કે આશરે દરેક પ્રવાસીઓને સરળતાથી કન્ફર્મ ટિકિટ મળશે.
આગામી દસ વર્ષમાં કઈ રીતે રેલવેની કાયાપલટ કરવામાં આવશે એનું ઉદાહરણ આપતા તેમણે જણાવ્યું હતું કે રેલવેના ટ્રેકનું કામ કરાવી પ્રક્રિયામાં 2004થી લઈને 2014 દરમિયાન આશરે 17,000 કિમીના ટ્રેક બનાવવામાં આવ્યા છે અને 2014થી 2024 સુધીના બીજા દસ વર્ષમાં 31,000 કિલોમીટર સુધીના નવા રેલવે ટ્રેક બનાવવામાં આવ્યા છે.
આ ઉપરાંત 2004થી 2014 સુધીના 10 વર્ષના સમયગાળામાં આશરે 5000 કિલોમી રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણનું કામ પૂરું થયું છે. અને 2014થી 2024 સુધીના દાયકામાં 44,000 કિમીના રેલવે ટ્રેકનું વિદ્યુતિકરણનું કામ પૂરું કરવામાં આવ્યું છે. અશ્વિની વૈષ્ણવે આપેલી માહિતી અનુસાર 2004થી 2014 સુધી માત્ર 32,000 કોચ તૈયાર કરવામાં આવ્યા હતા, જ્યારે 2014થી 2024 સુધી આ પ્રમાણ વધીને 54,000 કોચ જેટલું થયું હતું.
આગામી પાંચ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થાના વિકાસ માટે રેલવેને વધુ મજબૂત બનાવવામાં આવશે. જેથી પ્રવાસીઓનો પ્રવાસ વધુ ઝડપી અને આરામદાયક બનશે એવી માહિતી પણ વૈષ્ણવ દ્વારા વધુમાં આપવામાં આવી હતી.