ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાક. સાથે એશિયા કપ જેવું જ કરશે ભારત
આવતાં વર્ષે થશે ટૂર્નામેન્ટનું આયોજન
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની આશા પર ફરી પાણી ફરી વળવાનું છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્પષ્ટ કહી દીધું છે કે તે કોઈ પણ કિંમતે પોતાની ટીમને પાકિસ્તાન રમવા મોકલશે નહીં. આવતાં વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની હાંસલ કર્યા બાદ પીસીબી એ વાતને લઈને જોર લગાવી રહ્યું છે કે કોઈ પણ રીતે તે ભારતની ટીમને પાકિસ્તાનમાં મેચ રમવા આવવા માટે રાજી કરી લઈએ. જો કે અહેવાલો મળી રહ્યા છે કે હવે આ ટૂર્નામેન્ટને હાઈબ્રિડ મોડેલ પ્રમાણે જ રમાડવામાં આવી શકે છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી રમાતી નથી. બન્ને ટીમો એકબીજા સામે ટૂર્નામેન્ટ રમતી નથી. પાછલા વર્ષે એશિયા કપમાં બન્ને ટીમ વચ્ચે મુકાબલો જોવા મળ્યો હતો. આ પછી ભારતમાં રમાયેલા વન-ડે વર્લ્ડકપમાં પણ બન્ને ટીમ રમી હતી.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આઈસીસી પાસે એક જ વાતની માંગણી કરી રહ્યું છે કે તે કોઈ પણ રીતે બીસીસીઆઈ ઉપર દબાણ લાવીને ભારતીય ટીમને તેને ત્યાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે રાજી કરી લ્યે. જો કે બીસીસીઆઈનું કદ એવું છે જેના ઉપર કોઈ પ્રકારનું દબાણ કામ આવવાનું નથી. પાકિસ્તાનમાં સુરક્ષા વ્યવસ્થા અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને કારણે ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં હાઈબ્રિડ મોડેલમાં જ રમી શકે છે. એશિયા કપમાં પણ આવું જ જોવાયું હતું. ભારતે તેમાં પોતાની તમામ મેચ શ્રીલંકામાં રમી હતી.