ચંદીગઢ મેયર ચુંટણીમાં સુપ્રીમ કોર્ટે શું આપ્યો ચુકાદો ? જુઓ
- કોને મેયર તરીકે જાહેર કર્યા ?
ચંદીગઢ મેયર ચૂંટણી કેસમાં સુપ્રીમ કોર્ટે મંગળવારે ઐતિહાસિક ચુકાદો જાહેર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે જે 8 વોટને અમાન્ય ઠેરવાયા હતા તેને પણ ગણતરીમાં લેવા અને ફરીથી મતગણતરી કરીને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપના ઉમેદવાર કુલદીપ કુમારને વિજેતા જાહેર કર્યા હતા. મેયર તરીકે તેમનું નામ જાહેર કરાયું હતું. હકીકતમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહે 8 વોટ રદબાતલ કરી દેતાં ફક્ત 16 મતો વાળા ભાજપના મનોજ સોનકર મેયર પદે ચૂંટાઈ આવ્યાં હતા જ્યારે આપ-કોંગ્રેસના સંયુક્ત ઉમેદવાર પાસે 20 વોટ હોવા છતાં પણ તેઓ હાર્યાં હતા. સુપ્રીમ દ્વારા 8 વૉટને માન્ય ગણવામાં આવ્યા હતા. સોમવારે અદાલતે સુનવણી કરી હતી અને બેલેટ પેપર સહિતનું સાહિત્ય કોર્ટમાં લઈ આવવાનો આદેશ કર્યો હતો. મંગળવારે ચુંટણીના પરિણામને કોર્ટે રદ કર્યો હતો. ચુંટણી અધિકારીને અવમાનનાની નોટિસ અપાઈ હતી.
મંગળવારે બેલેટ પેપર અને દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરાયા હતા અને કોર્ટે તેનો અભ્યાસ કરીને એવો સવાલ કર્યો હતો કે કયા મતપત્રમાં ગરબડ છે બતાવો ? આમ આદમી પાર્ટીએ મેયરની ચૂંટણીમા હેરાફેરીના કેસને સુપ્રીમમાં પડકાર્યો હતો જેની પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. સુપ્રીમમાં રિટર્નિંગ ઓફિસર અનિલ મસીહ પણ હાજર રહ્યાં હતા. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડવાળી ખંડપીઠે અનિલ મસીહને બરાબરના ખખડાવ્યાં હતા અને તેમને 8 વોટોને ગણતરીમાં લઈને પછી રિઝલ્ટ જાહેર કરવાનો આદેશ આપ્યો હતો.
રિટર્નિંગ ઓફિસરે હવે 8 વોટોની ગણતરી કરવી પડશે જો આ ગણતરીને ધ્યાનમાં લેવામાં આવે તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના સંયુક્ત ઉમેદવારની જીત નક્કી છે.
30 જાન્યુઆરીએ શું થયું હતું
ચંદીગઢ મેયરની ચૂંટણી 30 જાન્યુઆરીએ યોજાઈ હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસ-આપ ગઠબંધનને કુલ 20 વોટ અને ભાજપને 16 વોટ હતા. જો સંખ્યાત્મક તાકાત પર નજર કરીએ તો તે AAP અને કોંગ્રેસની તરફેણમાં હતી પરંતુ ભાજપે ચૂંટણી જીતી હતી. હકીકતમાં, રિટર્નિંગ ઓફિસરે કોંગ્રેસ-આપ ગઠબંધનના 8 મતો અમાન્ય જાહેર કર્યા હતા અને ભાજપના મનોજ સોનકરને વિજેતા જાહેર કર્યા હતા. આ અંગે ભારે હોબાળો થયો હતો. એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો અને તેના આધારે આરોપ લગાવવામાં આવ્યો હતો કે ઓફિસર અનિલ મસીહે બેલેટ પેપર સાથે ચેડા કર્યા હતા. મામલો સુપ્રીમમાં જતાં મેયર મનોજ સોનકરે રાજીનામું આપ્યું હતું.
