લગ્નમાં આ તારીખ સુધી ફટાકડા નહીં ફોડી શકાય…ગુજરાતમાં ડ્રોન-આતશબાજી પર પ્રતિબંધ, હર્ષ સંઘવીએ આપી માહિતી
ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય સેનાનો જોશ એકદમ હાઇ છે. સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. દરિયાઈ કાંઠાના વિસ્તારોને હાઇએલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે વાત જો ગુજરાત રાજ્યની કરવામાં આવે તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. ભારતીય સેનાનું મનોબળ નબળું પાડનાર 4 લોકો વિરુદ્ધ કર્યાવાહી કરવામાં આવી છે તેમજ ખોટી માહિતી ફેલાવનાર લોકોને ચેતવણી પણ આપવામાં આવી છે તેમજ ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. આ આદેશ 15 મે સુધી અમલમાં રહેશે. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ
અત્યારે લગનગાળો ચાલી રહ્યો છે અને ઘણી જગ્યાએ ફટાકડા ફૂટી રહ્યા છે પણ હવે નહિ ફોડી શકાય. ગુજરાત સરકારે ફટાકડા અને ડ્રોન પર પ્રતિબંધ મૂક્યો છે. રાજ્યના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આ મહિનાની 15મી તારીખ સુધી કોઈપણ કાર્યક્રમ કે કાર્યક્રમમાં ફટાકડા અને ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. તેમણે લોકોને માર્ગદર્શિકાનું પાલન કરવાની અપીલ કરી. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે (9મે) આ નિર્ણય લીધો છે.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સરહદના જિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગઇકાલે ભારતના અનેક રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના કચ્છ અને બનાસકાંઠાનો પણ સમાવેશ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ વચ્ચે, ગુજરાતના સરહદી જિલ્લાઓ કચ્છ અને બનાસકાંઠાના ઘણા ભાગો ગુરુવારે રાત્રે સાત કલાકથી વધુ સમય સુધી વીજળી વગર રહ્યા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. કચ્છ અને બનાસકાંઠા બંને જિલ્લા પાકિસ્તાનની સરહદને અડીને આવેલા છે. અધિકારીઓએ પુષ્ટિ આપી હતી કે પાકિસ્તાનના કોઈપણ આક્રમક પગલાને નિષ્ફળ બનાવવા માટે સાવચેતીના પગલા તરીકે ભુજ, નલિયા, નખત્રાણા અને ગાંધીધામ શહેરો સહિત કચ્છના ઘણા ભાગોમાં વીજળી સંપૂર્ણપણે કાપી નાખવામાં આવી હતી.
વડાપ્રધાન મોદીની ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાતચીત
પ્રધાનમંત્રી મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોન પર વાત કરી હતી અને સરહદી રાજ્ય તરીકે ગુજરાતની તૈયારીઓ અને સરહદી તણાવની વર્તમાન પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી અને આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રધાનમંત્રીએ નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પૂરતા પગલાં વિશે પણ પૂછપરછ કરી. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં, જે પાકિસ્તાન સાથે સરહદ ધરાવે છે.