આજની નવી પેઢી સંઘ સાથે જોડાવા ઈચ્છુક : ડો. મનમોહનજી વૈદ્ય
રાજકોટમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્ય વિસ્તાર કુંભમાં ૨૩૦૦ સ્વયંસેવકોનું વિશાળ એકત્રીકરણ
સંઘમાં જોડાવા દર વર્ષે 1.20 લાખ યુવાઓ અરજી કરે છે:રાજકોટ મહાનગરની ૨૦૦ વસ્તી તથા ઉપવસ્તીમાંથી સ્વયંસેવકો જોડાયા
રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં7મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્ય વિસ્તાર કુંભ યોજાયો હતો. જેમાં રાજકોટ મહાનગરની ૨૦૦ વસ્તી તથા ઉપવસ્તીમાંથી આશરે ૨૩૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. દિવસભરના કાર્યક્રમો બાદ સાંજે ઘોષ સાથે સ્વયંસેવકોનું પથ સંચલન નીકળ્યું હતું, જેણે અનોખું આકર્ષણ જમાવ્યું હતું.

આ અવસરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્ય વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વયંસેવકોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણે હિન્દુ રાષ્ટ્રની સર્વાંગી ઉન્નતિ માટે સ્વયંસેવકોને વિવિધ કાર્ય અને ગતિવિધિઓ સાથે સમાજના લોકોને સાથે લઈને ચાલવાની પ્રેરણા આપી હતી.

સ્વયંસેવકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કહ્યું હતું કે, આજે સંઘનો કાર્ય વિસ્તાર, શક્તિ અને પ્રવાહ વધી રહ્યો છે. અનેક વિરોધ અને અવરોધ છતાં પણ સંઘનું કાર્ય સતત આગળ વધે છે. આ બધું ક્યારેય રોકાય નહીં, ઝૂકે નહીં, વેચાય નહીં તેવા સ્વયંસેવકોના સમર્પણથી થયું છે.
સમાજમાં સંઘવિસ્તારના ચાર તબક્કાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, સંઘને સમાજના વિવિધ ભાગો સુધી લઈ જવા માટે સમયાંતરે ભારતીય મજદૂર સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વગેરે જેવા વિવિધ સંગઠનો શરૂ થયા છે. ૩૫થી વધુ સંગઠનો સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે.
સમાજની દરેક વ્યક્તિ સંઘની શાખા સુધી નહીં આવી શકે, એ બાબતને સ્પષ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, સમાજમાં ઘણા એવા લોકો છે, જેઓ રાષ્ટ્રીયતાના વિચાર સાથે રાષ્ટ્રની ઉન્નતી માટે કાર્ય કરી રહ્યા છે. સ્વયંસેવકોએ આવા લોકો સુધી પહોંચવાનું છે. આવા લોકોને વિવિધ કાર્યો અને ગતિવિધિઓ સાથે જોડીને તેમને સાથે લઈને સ્વયંસેવકોએ રાષ્ટ્રની સર્વાંગીણ ઉન્નતિ માટે આગળ વધવાનું છે.
પત્રકારો સાથેની વાતચીત દરમ્યાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહન વૈદ્યે કહ્યું હતું કે, ભૂતકાળમાં અનેક અવરોધ-વિરોધ થયા, જેમણે વિરોધ કર્યો તેમની પાસે સત્તા હતી, પૈસા પણ હતા. જ્યારે સંઘ પાસે કાર્યકર્તાઓ હતા. વિરોધો છતાં સંઘ આગળ વધ્યું છે. સૌરાષ્ટ્રમાં કાર્ય વિસ્તાર માટે સવેકઓને તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યાં નથી પહોંચ્યા ત્યાં આગામી દિવસોમાં પહોંચવાનું છે. સંઘના જુદા-જુદા વિભાગોમા વિસ્તૃત રીતે કામ થઈ રહ્યું છે.
રામ મંદિર અને કૃષ્ણ જન્મભૂમિ વિશે એમણે કહ્યું હતું કે, રામ મંદિરે એ સમાજના કારણે બન્યું છે, સમાજના લોકોએ સાથ આપ્યો છે. સંઘનું કામ સમાજને જાગૃત કરવાનું છે. ભવિષ્યમાં સંઘ પાંચ વિષય પર આગળ વધશે. જેમાં સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સ્વદેશી જાગૃતતા (સ્વદેશી ભાવ જગાડવો) અને નાગરિક બોધ (લોકોને પોતાની જવાબદારી વિશે જાગૃત કરવા).
આ ઉપરાંત યુવાનો અંગેના જવાબમાં કહ્યું હતું કે, વર્ષ 2017 થી 2022 દરમિયાન પ્રત્યેક વર્ષ 1.20 લાખ યુવાનોએ સંઘમાં જોડાવા માટે વેબસાઇટ પર અરજી કરી છે. જ્યારે શહેરોમાંથી સીધા પણ યુવાનો જોડાઈ રહ્યા છે.
સાંસદ રામભાઇ મોકરિયા, મોહન કુંડારિયા, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, મેયર નયનાબેન પેઢડિયા, ભાજપ અગ્રણી વલ્લભ કથીરીયા સહિતના અગ્રણીઓ પણ સંઘના સહ-સરકાર્યવાહ ડૉ. મનમોહનજી વૈદ્યની શુભેચ્છા મુલાકાત માટે પહોંચ્યા હતા.
નોંધનીય છે કે, વર્ષ ૨૦૨૫માં સંઘની જન્મ શતાબ્દી આવી રહી છે, ત્યારે સંઘના વિચાર અને સંઘકાર્યને જન જન સુધી પહોંચાડવાના હેતુસર આ કાર્યવિસ્તાર કુંભ યોજાયો હતો. રવિવારે સવારે રેસકોર્સ ખાતે આ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. જેમાં મહાનગરના પાંચ વિસ્તારના, ૩૫ નગર, ૨૦૦ વસ્તી તથા વિવિધ ઉપવસ્તીમાંથી ૨૩૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. જેમાં ૧૭૯૨ તરુણ, ૩૭૮ બાલ સ્વયંસેવકો હતા, જ્યારે ૧૩૦ સ્વયંસેવકો પ્રબંધક તરીકે વ્યવસ્થામાં હતા.
આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંતના સંઘ ચાલક મુકેશભાઈ મલકાણ, પ્રાંત સેવા પ્રમુખ નારણભાઈ વેલાણી, પ્રાંત પ્રચાર પ્રમુખ પંકજભાઈ રાવલ, પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ નરેન્દ્રભાઈ દવે, વિભાગના અધિકારીઓમાં વિભાગ વ્યવસ્થા પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ, ધર્મજાગરણ સંયોજક રાજેશભાઈ શિંગાળા, વિભાગ કાર્યકારી સદસ્ય મનીષભાઈ બેચરા વગેરેએ પૂર્ણ સમય ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમમાં દરેક વ્યવસાયના દરેક વર્ગના સ્વયંસેવકો, ખેડૂતો, શ્રમિકો, ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઉદ્યોગપતિ નોકરીયાત, વિદ્યાર્થી એકસાથે આખો દિવસ રહ્યા હતા.
રેસકોર્સ પર સ્વયંસેવકોના પથ સંચાલન સંચાલને આકર્ષણ જમાવ્યું
રાજકોટમાં આયોજિત સંઘના કાર્ય વિસ્તાર કુંભનું સમાપન પથ સંચલન (માર્ચ પાસ્ટ) સાથે થયું હતું. રેસકોર્સ રીંગરોડ પર સંઘના દસ વર્ષથી ઉપર અને પ્રૌઢ વય સુધીના સ્વયંસેવકો, શિસ્તબદ્ધ હરોળમાં ઘોષ (બેન્ડ)ના તાલ સાથે પરેડ કરતા નીકળ્યા ત્યારે તેણે લોકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. રાજકોટમાં પ્રથમ વખત ષડવ્યૂહમાં આ પથ સંચલન યોજવામાં આવ્યું હતું.
