ચક્રવાતી તોફાન ક્યાં ટકરાયું, કેવી તબાહી થઈ ? વાંચો
વિનાશક પવન-વર્ષા સાથે નેલ્લોર-માછલીપટ્ટનમ તટ પર લેનડફોલ, ચેન્નાઈમાં 8 ના મોત, 90 કિમીની ઝડપે પવન ફુંકાયો, જનજીવન અસ્તવ્યસ્ત
વોઇસ ઓફ ડે નવી દીલ્હી
2 ડિસેમ્બરે બંગાળની ખાડીથી નીકળેલ ચક્રવાત દેશના અનેક રાજ્યોમાં ભારે વર્ષનું કારણ બન્યો છે. તામિલ નાડુમાં તબાહી મચાવ્યાં બાદ તોફાને આંધ્ર પ્રદેશમાં પણ ખાનાખરાબી સર્જી હતી. આંધ્ર પ્રદેશના બાપલટામાં ચક્રવાત મિચોંગના લેન્ડફોલની પ્રક્રિયા બપોરે શરૂ થઈ ગઈ હતી અને વિનાશક વાવાઝોડાને લઈને પૂર્વ કિનારાના 5 રાજ્યો એલર્ટ મોડ પર હતા. વાવાઝોડાની અસરને કારણે ચેન્નઈમાં ભારે વરસાદની થતાં 8 ના મોત થયા હતા તેમજ આંધ પ્રદેશમાં પણ તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. 90 કિમીની ઝડપે તોફાની પવન ફુંકાયો હતો. આંધ્રમાં જનજીવન સ્થગિત થઈ ગયું હતું.
મિચોંગ ચક્રવાત ગંભીર ચક્રવાત બન્યા બાદ આંધ પ્રદેશના દરિયાકાંઠે પહોંચી ગયું હતું. આઈએમડીના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે વિનાશક ચક્રવાત મિચોંગ બાપટલા નજીક આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ત્રાટકયુ હતું. લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. પવનની ઝડપ 90-100 કિમી પ્રતિ કલાક રહી હતી. આ સમયગાળા દરમિયાન આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ ચાલુ રહેશે તેવી આગાહી થઈ હતી અને બપોરથી મુશળધાર વર્ષા થઈ હતી.
સાવચેતીના પગલા તરીકે, રાજ્ય અને કેન્દ્ર સરકારોએ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને પુડુચેરીમાં એનડીઆરએફ ટીમો તૈનાત કરી દીધી હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રીએ બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી અને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આંધ્રપ્રદેશના બાપટલા કાંઠા પર ચક્રવાત મિચોંગની અસરના પગલે તમામ નાગરિકોને પહેલા જ દરિયાકાંઠેથી દૂર કરવામાં આવ્યા હતા.