રાજકોટમા સોના-ચાંદીથી મઢેલુ “શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર”
રાજવી પરિવારે વર્ષો પહેલા સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ જૈનોને અર્પણ કરી હોવાનો છે ઇતિહાસ: મંદિરમાં બિરાજમાન માણિભદ્ર દાદાના દર્શનાર્થે ગુરુવારે આવે છે મોટી સંખ્યમા શ્રદ્ધાળુઓ
રાજકોટના માંડવી ચોકમાં સૌથી પ્રાચીન જૈન દેરાસર 197 વર્ષ જૂનું હોવાનું જાણવા મળે છે. જ્યારે દેરાસરમાં બિરાજમાન સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા 11 હજાર વર્ષ પ્રાચીન હોવાનું કહેવાય છે. આ દેરાસર એક એવું દેરાસર છે કે જ્યાં તમામ 24 જૈન તીર્થકરો બિરાજમાન છે. જ્યારે માણિભદ્ર દાદાની તેજસ્વી પ્રતિમાના દર્શન માટે દર ગુરુવારે 5 હજાર લોકો ઉમટી પડે છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા જિનાલય તરીકે ગણાતા રાજકોટની સોની બજાર, માંડવી ચોકમાં આવેલું દેરાસર છે. આ દેરાસર પાછળ રાજવી પરિવારનો ઇતિહાસ રહેલો છે. આ દેરાસરમાં સૌરાષ્ટ્ર ઉપરાંત દેશ-વિદેશમાં વસતા જૈન પરિવારો પણ સુપાર્શ્વનાથ દાદાના દર્શન કરવા માટે આવે છે. શહેરના માંડવી ચોકમાં આવેલા આ દેરાસરનો રસપ્રદ ઇતિહાસ રહેલો છે. દેરાસરના ઇતિહાસ વિશે વાત કરતાં શ્રી રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઇ (ચાવાળા) જણાવ્યું હતું કે, આ દેરાસર 197 વર્ષ જૂનું દેરાસર છે. વર્ષો પહેલા તે સમયના રાજકોટના રાજવી પરિવારના પટારામાંથી સુપાર્શ્વનાથ દાદાની મૂર્તિ મળી આવી હતી. બાદમાં રાજવી પરિવારે આ મૂર્તિ જૈનોને અર્પણ કરી હતી. ઉપરાંત દેરાસરના નિર્માણ માટે પણ રાજવી પરિવાર દ્વારા જમીન આપવામાં આવી હતી. શરૂઆતમાં નાની જગ્યામાં બનેલું આ દેરાસર ધીમે-ધીમે વિસ્તારવામાં આવ્યું હતું અને હાલ 3 હજાર વારમાં આ દેરાસર ફેલાયેલું છે.
શહેરના માંડવી ચોકમાં આવેલુ પ્રાચીન દેરાસર બે માળનું છે. જેમા દેસારસના ઉપરના માળે સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા બિરાજમાન છે જ્યારે નીચે મંદિરમાં માણિભદ્ર દાદા બિરાજમાન છે. માંડવી ચોકમાં આવેલુ શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસર સોના-ચાંદીથી મઢવામાં આવેલું છે. દેરાસરના દરવાજા અને દિવાલોમાં સોના-ચાંદી જડવામાં આવી છે. આ પ્રકારના દરવાજા, નકશી કામ તેમજ કોતરણી કામ માટે અમદાવાદથી કારીગરો બોલાવામાં આવ્યા હતા. આ દેરાસર સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને પૌરાણિક દેરાસર તરીકે ઓળખાય છે ત્યારે અહી રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર-ગુજરાતના જૈન પરિવારો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે.
દેરાસરમાં બિરાજમાન પદ્માવતી દેવીની ઊભી મૂર્તિનું સ્વરૂપ એકમાત્ર રાજકોમાં જ છે
રાજકોટમાં માંડવી ચોકમાં સ્થિત શ્રી સુપાર્શ્વનાથ જૈન દેરાસરમાં નીચેના ભાગમાં શ્રી માણિભદ્ર દાદા ઉપરાંત પદ્માવતી દેવી, અંબિકા દેવી અને ચક્રેશ્વરી દેવીનું મંદિર પણ આવેલું છે. જેમાં પદ્માવતી દેવીજીની ઊભા સ્વરૂપની મૂર્તિ બિરાજમાન છે. પદ્માવતી દેવીની આવી મૂર્તિ આખા ગુજરાતમાંથી એકમાત્ર રાજકોટમા જ હોવાનું માનવામાં આવે છે.