અમેરિકી સુચનાને કારણે જમીની હુમલો વિલંબમાં… ?
ઇઝરાયલની સેના છેલ્લા પાંચ દિવસથી ગાઝા સરહદ ઉપર ખડકાઈ ગઈ હોવા છતાં ગાઝા પ્રવેશ કેમ અટક્યો છે તે અંગે અનેક અટકળો ચાલે છે. અમેરિકા અને યુરોપના દેશોની સૂચનાને કારણે ઇઝરાયેલી સેના આગળ ન વધતી હોવાનું માનવામાં આવે છે.
દરમિયાન ઇઝરાયેલ ની મુલાકાતે થી પરત ફરેલા અમેરિકાના પ્રમુખ જો બાઇડને, ‘શું તેમણે ઇઝરાયેલી સેનાના જમીની આક્રમણને અટકાવવાની સૂચના આપી છે? ‘ એવા પત્રકારોના પ્રશ્નનો જવાબ હકારમાં આપ્યો હતો. જોકે બાદમાં વ્હાઇટ હાઉસે આ ગેરસમજણ હોવાનો ખુલાસો કર્યો હતો. વ્હાઇટ હાઉસના પ્રવક્તા ના જણાવ્યા મુજબ પત્રકારોએ બંધક મુક્તિને પ્રાધાન્ય આપવામાં આવશે ? એવો સવાલ કર્યો હોવાનું માની અને બાઇડને હા માં જવાબ આપ્યો હતો.
વ્હાઇટ હાઉસના એ ખુલાસા છતાં વિશ્લેષકો માને છે કે અમેરિકા અને પશ્ચિમના દેશો બંધકોની સલામત મુક્તિ ન થાય ત્યાં સુધી ઈઝરાયેલના જમીની હુમલાનો વિરોધ કરી રહ્યા છે અને એ જ કારણ છે કે ઈઝરાયેલી સેના ગાઝા સરહદ ઉપર જ અટકી ગઈ છે.
સહાય સામગ્રીનો પ્રથમ જથ્થો પહોંચ્યો
ઇઝરાયલે ગાઝા ઉપર કરેલા હુમલાને કારણે અભૂતપૂર્વ માનવીય કટોકટી સર્જાઇ છે. આ સંજોગોમાં ગાઝામાં સત્વરે સહાય પહોંચાડવાની વિશ્વભરમાંથી માંગણી ઉઠી હતી. જોકે ઇઝરાયલની જોહુકુમીને કારણે સહાય સામગ્રીના ટ્રક ઇજિપ્તની રફાહ સરહદ પર જ અટવાઈ ગયા હતા. અંતે શનિવારે પ્રથમ વખત સહાય સામગ્રી ના 20 ટ્રક ગાઝામાં પ્રવેશ્યા હતા. જોકે ઇઝરાયલે સહાય માત્ર દક્ષિણ ગાઝાના લોકો માટે જ હોવાની સ્પષ્ટતા કરી હતી. આ સંજોગોમાં સૌથી વધારે અસરગ્રસ્ત ઉત્તર ગાઝા સહાયથી વંચિત રહી જશે.
ઇઝરાયેલી રાજદુતોએ તુર્કી છોડ્યું
ગાઝા પરના હુમલાબાદ વિશ્વના અનેક દેશોમાં યહૂદીઓ પર હુમલાનો ખતરો વધ્યો છે. આ ખતરાને ધ્યાનમાં રાખી ઇઝરાયલે ઇસ્તંબૂલ ખાતેની પોતાની રાજદૂત કચેરીમાંથી કર્મચારીઓને અને રાજદૂતને ઇઝરાયેલ પરત બોલાવી લીધા હતા. તુર્કીમાં વસતા ઇઝરાયેલી નાગરિકોને પણ સત્વરે દેશ છોડી જવાની સૂચના આપવામાં આવી છે. એ નાગરિકોના સલામત સ્થળાંતર માટે વધારાની ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવવાનું ઇઝરાયેલ સિક્યુરિટી કાઉન્સિલ એ જણાવ્યું હતું.
સાયપ્રસમાં વિસ્ફોટ
સાયપ્રસના પાટનગર નિકોસીમાં માં ઇઝરાયેલી એમ્બેસી પાસે વિસ્ફોટ થયો હતો. બનાવ બાદ એમ્બેસી કચેરીનું સુરક્ષા કવચ વધુ મજબૂત કરાયું હતું. પોલીસે આ ઘટનામાં સીરીયન મૂળ ધરાવતા ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
યુકેમાં આતંકી હુમલો?
યુકેમાં રાજકીય આશ્રય માંગનાર એક વ્યક્તિએ આતંકવાદી હુમલો કર્યો હોવાના અહેવાલોને પગલે ભારે સંસનાટી ફેલાય છે. સરકારે આ બનાવ જાહેર ન કર્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. યુકેના અખબાર ડેઈલી ટેલિગ્રાફના અહેવાલમાં જણાવ્યા અનુસાર સરકારે સુરક્ષાના કારણોસર આ વાત દબાવી રાખી હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ વડા યાન ડંકન સ્મિથે પણ સરકારનો ખુલાસો માગ્યો હતો. તેમણે કહ્યું કે બ્રિટનના નાગરિકોને તેઓ કયા સ્થળે સલામત છે એ જાણવાનો અધિકાર છે. તેમણે આ ઘટના જાહેર કરવા સરકારને અનુરોધ કર્યો હતો.હમલખોરે ગાઝા નો બદલો લેવા માટે આ હુમલો કર્યો હોવાની કબુલાત આપ્યાનું પણ અહેવાલમાં જણાવાયું છે.