વેપારીઓની જીત: લાખાજીરાજ-ધર્મેન્દ્ર રોડ ક્લિન’
દોઢેક વર્ષથી દુકાનો બહાર ફેરિયાઓ-રેંકડીઓનું દબાણ થઈ ગયું હોય આખરે પોલીસ-મનપાએ ત્રાટકીને રસ્તો ખાલી કરાવ્યો: ૨૦૦૦થી વધુ વેપારીઓને મળશે
રાહત’
શહેરના ખરીદી માટેના સૌથી જૂના એવા લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર સહિતના વિસ્તારોમાં છેલ્લા દોઢેક વર્ષથી દુકાનો બહાર ફેરિયાઓ-રેંકડીઓનું દબાણ થઈ જતાં વારંવાર ટ્રાફિકજામ થવાની સાથે જ અહીં દુકાન ધરાવતાં વેપારીઓની માઠી થઈ ગઈ હતી. આ અંગેની વારંવાર મહાપાલિકા તેમજ પોલીસને રજૂઆત કરવા છતાં કશી જ કાર્યવાહી કરવામાં ન આવતાં વેપારીઓ થાકી-હારીને બેસી ગયા હતા. જો કે અચાનક જ તંત્રએ આ મુદ્દો હાથ પર લઈને મહાપાલિકા તેમજ પોલીસને દોડાવતાં બન્નેએ ત્રાટકીને લાખાજીરાજ રોડ તેમજ ધર્મેન્દ્ર રોડને ક્લિન' કરાવી દીધો હતો મતલબ કે દબાણો દૂર કરાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહીને કારણે ૨૦૦૦થી વધુ વેપારીઓ કે જેઓ અહીં પોતાની દુકાન ધરાવે છે તેમને
રાહત’ મળશે.
વેપારીઓ પાસેથી પણ આટલો સહયોગ મગાયો
- દુકાન બહાર સ્ટેચ્યુ સહિતના દબાણો ન મુકે
- ફૂટપાથ દૂર કર્યા બાદ વાહનો વ્યવસ્થિત પાર્કિંગ કરાવે
- વેપારીઓ માટે શાળા નં.૬૩માં પાર્કિંગની વ્યવસ્થા કરાશે ત્યાં જ વાહન પાર્ક કરે
- ગ્રાહકો આડેધડ વાહન પાર્કિંગ ન કરે તેનું ખાસ ધ્યાન રાખે
બે દિવસમાં પાર્કિંગ પટ્ટા લાગી જશે, બહાર વાહન પડ્યું હશે એટલે ઉઠાવી લેવાશે
મહાપાલિકા ખાતે ધારાસભ્ય, મ્યુનિસિપલ કમિશનર, મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ-અધિકારીઓ સાથેની બેઠક મળ્યા બાદ ટ્રાફિક એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફ દ્વારા મહાપાલિકાને સાથે રાખીને લાખાજીરાજ રોડ, ભુપેન્દ્ર રોડ, ધર્મેન્દ્ર રોડ, પરાબજાર સહિતના વિસ્તારોનું ચેકિંગ કર્યા બાદ અહીં બે દિવસની અંદર પાર્કિંગ પટ્ટા લગાવવાનો નિર્ણય લેવાયો હતો. આ પટ્ટા લાગી ગયા બાદ જો કોઈ પણ વ્યક્તિનું વાહન પટ્ટા બહાર પડ્યું હશે એટલે તેને ટોઈંગ કરી લેવાશે તેવી તાકિદ પણ વેપારીઓને કરાઈ હતી.
અમે પૂરો સહયોગ આપશું, તંત્ર આ કાર્યવાહી કાયમી કરે તે જરૂરી
દરમિયાન વેપારીઓએ જણાવ્યું કે તંત્ર દ્વારા અમારી પાસેથી જે જે સહયોગ માંગવામાં આવ્યો છે તે અમે પૂરો પાડશું પરંતુ તંત્ર આ કાર્યવાહી એકાદ-બે દિવસ પૂરતી નહીં બલ્કે કાયમી રાખે તો જ તેનો ફાયદો મળશે અન્યથા સ્થિતિ ઠેરની ઠેર જ રહેશે.