હોકર્સ ઝોનથી ડેપ્યુટી મેયરના આવાસ સુધી… રાજકોટ જનરલ બોર્ડમાં અનેક મુદ્દે ચર્ચા, હેમાંગ વસાવડાના આક્ષેપો પર મેયરે આપી શુભકામના
રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠક મળી હતી. બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, ટ્રાફિક, દબાણ, હોકર્સ ઝોન સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કોર્પોરેટરો દ્વારા પૂછવામાં આવેલા આશરે 25 જેટલા પ્રશ્નોના તંત્ર દ્વારા સવિસ્તાર જવાબ આપવામાં આવ્યા હતા. લગભગ 10 જેટલા કોર્પોરેટરોએ અલગ-અલગ મુદ્દાઓ અંગે પ્રશ્નો રજૂ કર્યા હતા.
હોકર્સ ઝોન પોલિસીનો અમલ થશે
આ અંગે માંહિતી આપતા મેયર ડો.નેહલ શુક્લે જણાવ્યું હતું કે જનરલ બોર્ડની બેઠકમાં રાજકોટ માટેની માર્કેટ અને હોકર્સ ઝોન પોલિસીનો મુદ્દો પણ ચર્ચામાં આવ્યો હતો. શહેરના કેટલાક નિર્ધારિત રોડ પર લારી-ગલ્લા અને ફેરિયાઓના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો સામે હવે કાર્યવાહી કરવામાં આવશે. મેયર નેહલ શુક્લાએ જણાવ્યું હતું કે જે રોડને દબાણ અને ટ્રાફિકની સમસ્યાના દૃષ્ટિકોણથી નિર્ધારિત કરવામાં આવ્યા છે, ત્યાં લારી-ગલ્લાવાળાઓને ઊભા રહેવા દેવામાં નહીં આવે.
જોકે, આ કાર્યવાહી દરમિયાન લારી-ગલ્લા અને ફેરિયાઓના રોજગારનું પણ ધ્યાન રાખવામાં આવશે. મેયરે જણાવ્યું હતું કે ઘણા લોકો લારી-ગલ્લા અથવા ફેરિયાનો વ્યવસાય કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેથી માનવીય અભિગમ સાથે કોર્પોરેશનના ટીપી પ્લોટમાં આવા વેપારીઓ માટે જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી નિર્ધારિત રોડ પરથી દબાણ દૂર કર્યા બાદ તેઓ ફાળવવામાં આવેલી જગ્યાએ પોતાનો નાનો વ્યવસાય કરી શકે.
દબાણ અને દેશી દારૂના મુદ્દે કાર્યવાહીની ખાતરી
બેઠક દરમિયાન દબાણના મુદ્દે કોર્પોરેટર કિશનભાઈ ટીલવાએ પણ સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કેટલાક વિસ્તારોમાં દેશી દારૂ બનતો હોવાના આક્ષેપો અંગે પણ કાર્યવાહી અંગે પ્રશ્ન કર્યો હતો. આ અંગે મેયરે જણાવ્યું હતું કે જનરલ બોર્ડમાં કોર્પોરેટરો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્નોને તંત્ર ગંભીરતાથી લે છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે છે. તેમની પાસે દબાણ અથવા ગેરકાયદે પ્રવૃત્તિઓ અંગે જે પણ માહિતી હોય તેની યાદી મ્યુનિસિપલ કમિશનરને આપવા સૂચના આપી હતી. આ માહિતી મળ્યા બાદ કમિશનર દ્વારા તેના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે તેમ મેયરે જણાવ્યું હતું.
ડેપ્યુટી મેયરના આવાસ વિવાદ મામલે સ્પષ્ટતા
બીજી તરફ ડેપ્યુટી મેયરના આવાસને લઈને ચાલી રહેલા વિવાદ અંગે પણ મેયર નેહલ શુક્લાએ નિવેદન આપ્યું હતું. મેયરે જણાવ્યું હતું કે ડેપ્યુટી મેયરના આવાસનો મુદ્દો ખૂબ જૂનો છે. ડેપ્યુટી મેયરે અગાઉ જ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર મામલે પોતાની તરફથી સ્પષ્ટતા કરી દીધી છે.
મેયરના જણાવ્યા પ્રમાણે, ડેપ્યુટી મેયરે આવાસ મેળવવા માટે ક્યારેય પોતે અરજી કરી નહોતી. કોર્પોરેશન દ્વારા જે પ્લોટ ખાલી કરાવવામાં આવ્યો હતો, ત્યાં ડેપ્યુટી મેયરની એક દુકાન હતી. પ્લોટ ખાલી કરાવવામાં આવ્યા બાદ દુકાનના બદલામાં દુકાન ફાળવવાને બદલે આવાસ ફાળવવામાં આવ્યું હોવાની માહિતી મેયરે આપી હતી. અર્થાત્, મેયરના જણાવ્યા મુજબ આ આવાસ ડેપ્યુટી મેયર દ્વારા માંગવામાં આવ્યું ન હતું, પરંતુ કોર્પોરેશન દ્વારા ખાલી કરાવવામાં આવેલી દુકાનના બદલામાં આવાસ ફાળવવામાં આવ્યું હતું.
મટકી ફોડ કાર્યક્રમના ખર્ચ અંગે હેમાંગ વસાવડાના આક્ષેપ
આ ઉપરાંત રાજકોટમાં યોજાયેલા મટકી ફોડ કાર્યક્રમના ખર્ચને લઈને કોંગ્રેસ નેતા ડો. હેમાંગ વસાવડાએ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા. હેમાંગ વસાવડાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાર્યક્રમના ખર્ચ અંગે સવાલ ઉઠાવી આશરે 20થી 30 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ તરફથી આ મામલે મેયર પાસે સ્પષ્ટતા પણ માંગવામાં આવી હતી. હેમાંગ વસાવડાના આક્ષેપો અંગે મેયર નેહલ શુક્લાએ પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, “હેમાંગભાઈ આવી પ્રેસ કોન્ફરન્સ કરતા રહેતા હોય છે, એમને શુભકામનાઓ.”
આ રીતે રાજકોટ મહાનગરપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં એક તરફ શહેરના ટ્રાફિક અને દબાણની સમસ્યા, હોકર્સ ઝોન અને નાના વેપારીઓ માટેની વ્યવસ્થા અંગે ચર્ચા થઈ હતી, જ્યારે બીજી તરફ ડેપ્યુટી મેયરના આવાસનો વિવાદ અને મટકી ફોડ કાર્યક્રમના ખર્ચ અંગેના આક્ષેપો પણ ચર્ચામાં રહ્યા હતા.
