ગ્રુપના તમામ પાઈલટોનું ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ કરવાનો આદેશ, કડક સુરક્ષા પગલાં શરુ
એર ઈન્ડિયાની ફ્લાઈટમાં બનેલી એક ગંભીર અને વિવાદાસ્પદ ઘટના બાદ એરલાઈન પ્રશાસને પેસેન્જર સેફ્ટીને સર્વોપરી રાખીને અત્યંત કડક અને મોટો નિર્ણય લીધો છે. દિલ્હી-ફુકેત ફ્લાઇટ દરમિયાન થયેલા ‘ગાંજા કાંડ’ અને તેના કારણે સર્જાયેલી અફરાતફરી બાદ, હવે એર ઈન્ડિયાએ પોતાના ગ્રુપના તમામ પાઈલટો માટે ફરજિયાત ડ્રગ સ્ક્રિનિંગ (Drug Screening) કરવાનો આદેશ જારી કર્યો છે. જેથી હવે ગુરુગ્રામ એકેડેમી, ફ્લાઈટ બ્રીફિંગ સેન્ટર અને બેઝ લોકેશન પર દરેક પાઈલટની તપાસ કરવામાં આવશે.
શું હતી સમગ્ર ઘટના? (‘ગાંજા કાંડ’ અને AI2379 ફ્લાઈટ વિવાદ)
ગયા 4 ઓગસ્ટના રોજ દિલ્હીથી ફુકેત જતી અને પરત ફરતી એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI2379 દરમિયાન હવાનો તીવ્ર આંચકો (ટર્બ્યુલન્સ) અનુભવાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફુકેતથી પરત ફરતી વખતે વિમાન અચાનક આશરે 300 ફૂટ નીચે ગબડી ગયું હતું. આ ભયજનક સ્થિતિ વચ્ચે એ વાત સામે આવી હતી કે મુખ્ય પાઈલટ કોકપિટના ફ્લોર પર પડેલા હતા.
આ અકસ્માતમાં 15થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. પ્રાથમિક તપાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે પાઈલટે ગાંજો પીધો હતો, જે અંગે ક્રૂ મેમ્બરે પણ સત્તાવાર ફરિયાદ કરી હતી. આ ઉપરાંત, ફ્લાઈટ દરમિયાન સીટ પ્રોટોકોલને લઈને પાઈલટ અને કેબિન ક્રૂના સભ્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો (AAIB) આ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યું છે.
આ પણ વાંચો: ઝારખંડમાં Gen-Alphaનું આંદોલન હિંસક બન્યું, કાંડી પોલીસ સ્ટેશન પર પથ્થરમારો
નાગરિક ઉડ્ડયન મંત્રાલયની લાલ આંખ
આ ગંભીર સુરક્ષા ચૂક બાદ ગત 11 ઓગસ્ટના રોજ એર ઈન્ડિયાના CEO કેમ્પબેલ વિલ્સને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે નાગરિક ઉડ્ડયન સચિવ સમીર કુમાર સિંહા સમક્ષ હાજરી આપી હતી. મંત્રાલયની કડક નારાજગી બાદ એર ઈન્ડિયાએ ડીજીસીએ (DGCA) ના નિયમો ઉપરાંત સુરક્ષાના ધોરણોને વધુ મજબૂત બનાવતા આ તાત્કાલિક પગલું ભર્યું છે.
મુસાફરોની સુરક્ષા અને વિશ્વાસ સર્વોપરી
એર ઈન્ડિયાએ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનિંગ બાદ તેમજ ઉડાન પૂર્વે અને પશ્ચાત પાઈલટોની સ્વાસ્થ્ય તપાસ અનિવાર્ય રહેશે. કંપનીનો મુખ્ય ઉદ્દેશ્ય આકાશમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને એર ઈન્ડિયાની બ્રાન્ડ પ્રત્યે લોકોનો ભરોસો અકબંધ રાખવાનો છે.
