હિમાચલમાં આકાશી આફતનો વરસાદ 157 લોકોના મોત, અન્ય 257 લાપતા
ભૂસ્ખલનની અનેક ઘટનાઓ, નદીઓ ગાંડીતૂર, વીજ પુરવઠો ખોરવાયો, હજુ પણ ભારે વરસાદની આગાહી
હિમાલયની પહાડીઓથી ઘેરાયેલા હિમાચલ પ્રદેશમાં ચોમાસાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. 30 જૂનથી 9 ઓગસ્ટ દરમિયાન વરસાદ, અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં કુલ 157 લોકોના મોત થયા છે, જ્યારે 257 લોકો હજુ પણ લાપતા હોવાનું રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના મંગળવારે જાહેર થયેલા અહેવાલમાં જણાવાયું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યભરમાં 260 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને 900થી વધુ સરકારી તથા ખાનગી મિલકતોને નુકસાન પહોંચ્યું છે.
પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચી જતા રહેણાંક વિસ્તારો અને ગામડાંઓ માં ગંભીર સ્થિતિ નિર્માણ પામી છે. અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં માર્ગ વ્યવહાર ખોરવાઈ ગયો છે. કુલુ, મંડી, ચંબા અને શિમલા જિલ્લામાં સ્થિતિ વધુ ગંભીર બની છે. મંડી-કુલુ હાઇવે સહિતના મહત્વના માર્ગો બંધ થતાં અનેક વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે.
ભારે વરસાદ તથા તોફાની પવનને કારણે રાજ્યમાં વીજ પુરવઠા પર પણ ભારે અસર પડી છે. એક અઠવાડિયાથી વધુ સમયથી 161 વિજ વિતરણ ટ્રાન્સફોર્મર બંધ હાલતમાં છે. સતત વરસાદના કારણે રસ્તા અને વીજલાઈનોની મરામત કામગીરીમાં પણ મુશ્કેલીઓ ઉભી થઈ રહી છે. પીવાના પાણીની 54 યોજનાઓ પણ પ્રભાવિત થતાં અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા ઊભી થતાં લોકોની હાલત કફોડી બની છે.
આ પણ વાંચો: ‘ફ્રીક્વન્ટ-ફ્લાયર માઇલ્સ’ ના બહાને ચાલતો અબજો ડોલરનો ખાનગી ચલણનો કાળો જાદુ
એ દરમિયાન હવામાન વિભાગે કાંગડા, મંડી, હમીરપુર, શિમલા અને સિરમૌર જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કુલુ, ચંબા, સોલન અને બિલાસપુર જિલ્લામાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવનાને કારણે રાજ્ય સરકાર અને બચાવ દળો એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
કુલુ અને મંડીમાં સૌથી વધુ ખાનાખરાબી
મંડી જિલ્લામાં 120 રસ્તા બંધ, રાજ્યમાં સૌથી વધુ અસર
કુલુ જિલ્લામાં 40 રસ્તા અવરોધિત
મંડી-કુલુ હાઇવે સહિતના મુખ્ય માર્ગો ઠપ
કુલુમાં નદીઓ અને નાળાઓમાં ભારે પૂર જેવી સ્થિતિ
મંડીમાં 77 અને કુલુમાં 40 વીજ ટ્રાન્સફોર્મર બંધ
અનેક ગામોનો સંપર્ક તૂટ્યો, રાહત કામગીરીને અસર
નુકસાન આંકડાઓમાં
કુલ મૃત્યુ : 157
લાપતા લોકો : 257
બંધ રસ્તા : 259-260
નુકસાન પામેલી મિલકતો : 900થી વધુ
અંદાજિત આર્થિક નુકસાન : ₹886 કરોડ
બંધ વીજ ટ્રાન્સફોર્મર : 161
અસરગ્રસ્ત પાણી પુરવઠા યોજનાઓ : 54
ભૂસ્ખલન અને પૂરથી મૃત્યુ : 68
માર્ગ અકસ્માતોમાં મૃત્યુ : 89
ઓરેન્જ એલર્ટ હેઠળના જિલ્લાઓ : 5
