NEET-UG પેપર લીક કાંડ: NTAનાં જ ત્રણ મોટા માથાં વિલન, સીબીઆઈનો મોટો ધડાકો
પેપર બનાવવાની જવાબદારી હતી તેમણે જ લીક કર્યું; પ્રશ્નો યાદ રાખી, હોટેલ રૂમમાં જઈને નોંધી લેતા
NEET-UG 2026 પેપર લીક કેસમાં સીબીઆઈએ દાખલ કરેલી 94 પાનાની ચાર્જશીટે સમગ્ર પરીક્ષા વ્યવસ્થાને હચમચાવી દીધી છે. આ ચાર્જશીટ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરવાની પ્રક્રિયામાં સામેલ રહેલા NTAના જ ત્રણ વિષય નિષ્ણાતોએ પ્રશ્નો બહાર પહોંચાડ્યા હતા. તેઓ પ્રશ્નો ચિઠ્ઠીઓ પર ઉતારતા, NCERTના સંબંધિત ફકરાઓ નિશાન કરતા અને સરળ પ્રશ્નો યાદ રાખીને હોટેલના રૂમમાં જઈ લખી નાખતા હતા.
સીબીઆઈની ચાર્જશીટમાં પી. વી. કુલકર્ણી (રસાયણશાસ્ત્ર), મનીષા માંધરે (વનસ્પતિશાસ્ત્ર) અને મનીષા હવાલદાર (ભૌતિકશાસ્ત્ર)ને પેપર લીકના મુખ્ય સ્ત્રોત તરીકે દર્શાવવામાં આવ્યા છે. ત્રણેય NTA દ્વારા પ્રશ્નપત્ર તૈયાર કરવાની અને તેની ચકાસણીની પ્રક્રિયામાં સામેલ હતા. આ ત્રણ લોકોએ તેમની આ આંતરિક પહોંચનો દુરુપયોગ કરીને તેમણે પ્રશ્નો અને તેના સંકેતો બહાર પહોંચાડ્યા હોવાનો સીબીઆઇ એ આરોપ લગાવ્યો છે.
ચાર્જશીટ મુજબ પ્રશ્નપત્રની મોડરેશન પ્રક્રિયા દરમિયાન આરોપીઓ પ્રશ્નો ચિઠ્ઠીઓ પર નોંધી લેતા અથવા NCERTના જે પ્રકરણોમાંથી પ્રશ્નો લેવામાં આવ્યા હતા તે ફકરા નિશાન કરતા. ત્યારબાદ વિશ્વાસુ વચેટિયાઓ અને કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકો મારફતે આ માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતી હતી. ડિજિટલ પુરાવા ન રહી જાય તે માટે આ સમગ્ર કાવતરું કાગળની ચિઠ્ઠીઓ અને મૌખિક માહિતીના આધારે ચલાવવામાં આવતું હોવાનું સીબીઆઈએ જણાવ્યું છે.
આ પણ વાંચો: વિદેશી ફંડ ઉપર લગામ મુકવાનો વધુ એક પ્રયાસ
સરળ પ્રશ્નોના કિસ્સામાં કેટલાક નિષ્ણાતો પ્રશ્નો યાદ રાખતા અને દિવસનું કામ પૂર્ણ થયા બાદ હોટેલના રૂમમાં જઈ તેને લખી નાખતા હતા. ત્યારબાદ તે પ્રશ્નો અને તેના આધારે તૈયાર કરાયેલા સંકેતો પસંદગીના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવતા હતા. કેટલાક વિદ્યાર્થીઓને ખાનગી કોચિંગ દરમિયાન આ પ્રશ્નો હાથથી લખાવાયા હોવાના અને તપાસ દરમિયાન આવી હસ્તલિખિત નોંધો પણ જપ્ત કરાયાના દાવા ચાર્જશીટમાં કરવામાં આવ્યા છે.
કોચિંગ સંસ્થાઓની સંડોવણી
સીબીઆઈના જણાવ્યા મુજબ આ સમગ્ર ગોટાળો નાણાકીય લાભ મેળવવા ઉપરાંત કેટલાક આરોપીઓની કોચિંગ સંસ્થાઓનું પરિણામ વધુ સારું બતાવવાના હેતુથી કરવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં કુલ 13 આરોપીઓ સામે ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી, વિશ્વાસઘાત, પુરાવાનો નાશ, ભ્રષ્ટાચાર નિવારણ કાયદો તેમજ જાહેર પરીક્ષા (અનુચિત સાધનોની રોકથામ) અધિનિયમ-2024 હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે. હાલમાં તમામ 13 આરોપીઓ ન્યાયિક કસ્ટડીમાં છે.
CBIની ચાર્જશીટમાં પરીક્ષા પ્રક્રિયાની ગંભીર ખામીઓનો ઉલ્લેખ
સીબીઆઈએ ચાર્જશીટમાં NTAની ગોપનીય પરીક્ષા પ્રક્રિયામાં રહેલી અનેક ખામીઓ પણ દર્શાવી છે. તપાસ મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરનારા નિષ્ણાતોની પ્રવેશ અને બહાર નીકળતી વખતે કોઈ અસરકારક તપાસ કે ફ્રિસ્કિંગ કરવામાં આવતું નહોતું. પરિણામે સરળ પ્રશ્નો યાદ રાખીને પછીથી લખી નાખવાનું શક્ય બનતું હતું. પી. વી. કુલકર્ણીએ માત્ર ત્રણ દિવસમાં 135 પ્રશ્નોના બેક-ટ્રાન્સલેશનનું કામ કર્યું હોવાનું પણ ચાર્જશીટમાં નોંધાયું છે. સીબીઆઈનું માનવું છે કે ગોપનીય પ્રક્રિયામાં વધુ કડક દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થા હોત તો આ પ્રકારનું લીક અટકાવી શકાય તેમ હતું.
72 અધિકારીઓએ રાત-દિવસ એક કર્યા, 92 સ્થળે દરોડા
સીબીઆઈએ 12 મેએ એફઆઈઆર નોંધ્યા બાદ તરત જ 72 અધિકારીઓ અને કર્મચારીઓની વિશેષ ટીમો તેમજ આઠ સાયબર ફોરેન્સિક નિષ્ણાતોને તપાસમાં લગાડ્યા હતા. મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી સહિત વિવિધ રાજ્યોમાં કુલ 92 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન ડિજિટલ ઉપકરણો, દસ્તાવેજો અને અન્ય મહત્વના પુરાવા જપ્ત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ત્રણ NTA વિષય નિષ્ણાતો, વચેટિયાઓ અને કોચિંગ સંસ્થાઓ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. સીબીઆઈએ 360 સાક્ષીઓ, 422 દસ્તાવેજો અને 43 ભૌતિક પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરી છે.
